વરસાદનું આગમન ન થતાં હવે ખેડૂતો ચિંતાતૂર બન્યા, ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત સાધારણ રહી અને અત્યાર સુધી સરેરાશ 4.83 ઈંચ વરસાદ એટલે કે સિઝનનો 14.63 ટકા જ વરસાદ થયો
વરસાદ ખેંચાયો, ચિંતિત ખેડૂતો
ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ
વરસાદ ખેંચાતા પાકને નુકસાનની ભીતિ
ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. ખેડૂતોએ વાવણી પણ કરી દીધી છે. પણ વરસાદનું આગમન ન થતાં હવે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત સાધારણ રહી છે અને અત્યાર સુધી સરેરાશ 4.83 ઈંચ વરસાદ એટલે કે સિઝનનો 14.63 ટકા જ વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતો હવે ચિંતાતૂર થયા છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન 4 જુલાઈ સુધી ગુજરાતમાં નોંધાયેલો આ સૌથી ઓછો વરસાદ છે.
હવામાન વિભાગના મતે 12 જુલાઈ સુધી વરસાદની કોઈ સિસ્ટમ નથી બની રહી. ગુજરાતમાં 25.02 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે. ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. રાજ્યમાં 207 જળાશયોમાં 39.10 ટકા જળ વધ્યું છે. તેમાં પણ સરદાર સરોવર ડેમમાં 42.18 ટકા જળ સંગ્રહ થયેલો છે. હવામાન વિભાગના મતે આગામી 5 દિવસમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.. જોકે જ્યાં પિયતની સગવડ નથી, બોર નથી અને કેનાલની પણ સુવિધા નથી તેવા વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે. એક માત્ર વરસાદ પર ખેતી નભે છે તેવા સ્થળોએ નુકસાનની ભીતિ વધુ છે.