ગુજરાતમાં તહેવાર અને વરસાદની એકસાથે મોસમમાં પાણીપુરી વેચનારા પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રાજ્ય વ્યાપી દરોડા, રાજ્યમાં પાણીપુરી વેચનારા 4 હજાર વેપારીઓને ત્યાં કાર્યવાહી
પાણીપુરી વેચનારા સામે રાજ્ય વ્યાપી દરોડા
રાજ્યમાં પાણીપુરી વેચનારા 4 હજાર વેપારીઓને ત્યાં કાર્યવાહી
1500 કીલો ગ્રામ બટાકાના માવાનો નાશ કરાયો
એક તરફ તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે. તો બીજી તરફ ચોમાસું પણ ગુજરાતમાં બેસી ગયું છે. અને આ મોસમમાં લોકોમાં ખાણીપીણી જન્ય રોગનો વધારો જોવા મળે છે. જેને લઈ રાજ્યવ્યાપી કાર્યવાહી હાથ ધરાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મુદ્દે કામગીરી કરી રહી છે. સૌથી વધુ લોકો પાણીપુરીનું સેવન કરતા હોય છે. જેને લઈ પકોડીની લારી, ફેરિયાઓ, વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. પાણી પુરી વેંચતા 4 હજાર વેપારીઓની તપાસ કરાઈ હતી. અને આ તપાસમાં ચોંકાવનારી સામગ્રીઓ સામે આવી હતી.
1500 કિલો બટાટાનો કરાયો નાશ
ગુજરાતમાં પાણીપુરીના સ્ટોલ પર લોકોની ભીડ હમેશા જોવા મળતી હોય છે. પરંતુ આ જ પાણીપુરના કારણે અનેક લોકો બીમાર પણ થાય છે. ત્યારે ગુજરાતમાં તહેવારની શરૂઆત પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 636 જેટલા નમૂના લીધા છે. આ સાથે 1500 કીલો ગ્રામ બટાકાના માવાનો નાશ પણ કરાયો છે. તો 1,335 લીટર પકોડીના પાણીનો પણ નાશ કર્યો છે. કુલ 90,569 કિંમતના ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો છે.
સુરતમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો
સુરતમાં ચોમાસામાં રોગચાળાએ માથુ ઉંચક્યું છે. ડેન્ગુ, તાવ, મલેરિયા અને ગેસ્ટ્રોના કેસોમાં વધારો થયો છે. રોગચાળામાં વધારો થતા તંત્ર દોડતું થઇ ગયું છે. રોગચાળો વધતા સર્વેલન્સની કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે. બાંધકામ, હોસ્પિટલ, શાળા સહિતની જગ્યાઓ પર ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી પર ભાર અપાયો છે.