અમદાવાદમાં દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને ફાફડા જલેબી ખરીદવા સ્વાદ રસિયાઓ બજારમાં ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ફરસાણની દુકાનોમાં લાંબી કતારો જોવા મળી હતી. દશેરાના દિવસે ફાફડા જલેબીનું સૌથી વધુ વેચાણ થયા છે. અમદાવાદમાં ફાફડા પ્રતિ કિલોના ભાવ 650થી 900 રૂપિયા તો શુદ્ધ ઘીની જલેબીના પ્રતિ કિલોના ભાવ 750થી 1050 સુધી રહ્યા હતા.
અમદાવાદમાં 3 ફૂડના એકમો સીલ
બીજી તરફ તહેવારોની સિઝનને ધ્યાને રાખી એએમસીનું ફૂડ વિભાગ સક્રિય થયું છે. કડક કાર્યવાહી કરતા ફૂડના 3 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. ગજાનંદ પૌવા, ચેતક ચવાણા અને હોટલ દેવ પેલેસ સીલ કરાઇ છે. ગજાનંદ પૌવામાં હાઈજેનિકનો અભાવ જોવા મળ્યો હતો. જ્યારે હોટેલ દેવ પેલેસના પનીરમાંથી જીવાત મળતા તેણે સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 27 ફાફડા જલેબીની દુકાનોમાંથી લેવામાં સેમ્પલ આવ્યા હતા. જેનો રિપોર્ટ આવતા તે દુકાનો પર પણ કાર્યવાહીના એંધાણ છે.
ક્યાં તમે ઝેર તો નથી ખાતાને?
હવે તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે. મીઠાઈ અને ફરસાણ વગર બધાને તહેવારો અધૂરા લાગે છે. જો કે સ્વાદ રસિકો તો તહેવાર અગાઉથી જ મીઠાઈની દુકાનો પર લાઈનમાં ઊભા રહી જાય છે.અમદાવાદ મહાનગર પાલિકાનો આરોગ્ય અને ફૂડ વિભાગ સફાળો જાગ્યો છે. ફૂડ વિભાગ ખાણી પીણી એકમોમાંથી સેમ્પલ લઈ રહ્યો છે. આજે અમદાવાદમાં 27 ફાફડા જલેબીની દુકાનોમાંથી લેવામાં સેમ્પલ આવ્યા છે. વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા મીઠાઈ ઉત્પાદકોમાં ફફડાડ વ્યાપી ગયો છે. ઘણી દુકાનોમાં ફૂડ શાખાના અધિકારીઓ કેમિકલ દ્વારા ટેસ્ટ કરતા માલુમ પાડ્યું હતું ,કે મીઠાઈમાં સ્ટાર્ચ નો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે.
મોડા રિપોર્ટનો કશો અર્થ રહેતો નથી
આમ તહેવાર ટાણે મહાનગર પાલિકાનો ફૂડ સેફ્ટી વિભાગ એલર્ટ થયો છે. ફરસાણ અને મીઠાઈની દુકાનો માંથી સેમ્પલો લેવામાં આવે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે લેબમાં તો પ્રાઈમરી રિપોર્ટ તુંરંત મળે છે પરંતુ તેનો ટેક્નિકલ રિપોર્ટ તો 12 દિવસ બાદ જ મળે છે. આમ રિપોર્ટ આવે તે પહેલા આ ફરસાણ અને મીઠાઈ લોકોના પેટમાં પહોંચી ગયાં હોય છે. અને જનઆરોગ્યને જે નુકસાન થવાનું હોય તે થઈ જાય છે.. જેથી આ પ્રકારે સેમ્પલ ચેંકિંગનો આમનાગરિકો ને કોઈ જ ફાયદો નથી.
ઓન ધ સ્પોટ રિપોર્ટ મળે તે જરૂરી
આમ, તહેવાર આવે અને તંત્ર જાગે છે. અમદાવાદ અને રાજકોટ જેવી મહાનગરપાલિકા દ્વારા ખાણીપીણીના એકમોનું ચેકિંગ કરવામાં આવે છે. પરંતુ તેના રિપોર્ટ આવે તે પહેલાં નકલી મીઠાઈ અને ફરસાણ આરોગાઈ ગયા હોય છે. ત્યારે ટેકનોલોજીના આ જમાનામાં લોકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે, લોકોના પેટમાં બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી જાય તે પહેલાં જ રિપોર્ટ મળે તેવી વ્યસ્થા ઊભી થાય તો જ રિપોર્ટનો અર્થ સરે તેમ છે.
લોકોએ શું ધ્યાન રાખવું જોઇએ?
તહેવારોમાં હંમેશા જાણીતા વેપારીને ત્યાંથી ફરસાણ ખરીદવું જોઈએ. તેમજ સ્કીમ કે લોભામણી લાલચોથી દૂર રહેવું જોઇએ. સસ્તું ફરસાણ ખરીદવાની લાલચ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે. જ્યાં તાજુ ફરસાણ મળતું હોય ત્યાંથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ.