આપણે ત્યાં એક કહેવત છે કે, માનવ સેવા એજ સાચી પ્રભૂસેવા. આ કહેવત આજે વલસાડ જિલ્લામાં સાર્થક બની છે. આપણે ત્યાં 108ને સંજીવની ગણવામાં આવે છે. કારણ કે, 108ની સેવા શરૂ થયા બાદ લાખો લોકોના જીવ બચ્યા છે. ત્યારે ફરી એક વખત 108 વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામડાઓ માટે જીવન દાયીની સાબિત થશે. કારણ કે, મધુબની ડેમથી દાદરાનગર હવેલી વચ્ચે તરતી 108 શરૂ કરાઈ છે. ત્યારે જુઓ કેવી છે આ તરતી એમ્બ્યુલન્સ અને કેવી રીતે બનશે આ વિસ્તાના લોકો માટે જીવનદાયીની...
મધુબની ડેમથી દાદરાનગર હવેલી વચ્ચે તરતી 108 શરૂ કરાઇ
કપરાડાના આદિવાસીઓ માટે જીવનદાયીની
અંતરિયાળ વિસ્તારોને મળશે તાત્કાલીક સારવાર
108 આપણા માટે સંજીવની છે. કારણ કે, આપણે જાણીએ છીએ કે, કોઈપણ જગ્યા પર અકસ્માત કે, કોઈ અન્ય ઈમર્જન્સી ઉભી થાય તો મિનિટોમાં 108 પહોંચી જાય છે. તાત્કાલીક સારવાર મળે છે. પરંતુ આજે પણ ગુજરાતના અનેક એવા દુર્ગમ વિસ્તાર છે. જ્યાં ટાઈમ પર 108 પહોંચી શક્તિ નથી. જેના કારણે લોકોને જીવ ગુમાવવો પડે છે. પરંતુ હવે વલસાડ જિલ્લામાં જે પહેલ શરૂ થઈ છે. તે પહેલ લોકો માટે સંજીવની સાબિત થશે. કારણ કે, સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીથી કપરાડાના મધુબની ડેમ સુધી તરતી એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. જેના કારણે આ અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોને પણ હવે તાત્કાલી અને ખુબ ઝડપી રીતે મેડિકલ સારવાર મળી શકશે.
રોડ માર્ગે 50 કિલોમીટર ફરવું પડે છે
મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર એટલે કે દૂધની જળાશય અને દમણગંગા નદીના કારણે પહાડી વિસ્તારના અનેક ગામડાઓ શહેરથી વિખૂટા પડી જાય છે. આથી દૂધની જળાશયના સામેના કિનારે આવેલા ગામોમાં અકસ્માત કે અન્ય કોઈ મેડિકલ ઈમરજન્સી વખતે લોકોએ નજીકની હોસ્પિટલ સુધી પહોંચવા માટે રોડ માર્ગે 50 કિલોમીટર કે તેથી વધુ અંતરનો ચકરાવો મારવો પડે છે. જેમાં 2થી 3 કલાકનો સમય જતો રહે છે. ક્યારેક મોડું થતા દર્દીનું મૃત્યુ પણ થાય છે. તેવામાં ગરીબ આદીવાસીઓને સમયસર સારવાર મળી રહે અને તાત્કાલીક હોસ્પિટલ સુધી પહોંચી શકાય તે માટે તરતી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ સેવાથી લોકોને મિનિટોમાં હોસ્પિટલ તો પહોંચાડી શકાય જ છે. પરંતુ તેની સાથે-સાથે એમ્બ્યુલન્સમાં પણ આઈસીયુ જેવી સુવિધા મળી રહે છે.. જેથી કોઈપણનો જીવ બચાવી શકાય છે.
10થી 15 ગામોને મળશે તરતી 108નો લાભ
મહત્નવનું છે કે, સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના 10થી વધુ ગામો આ પહાડી વિસ્તારોમાં આવેલા છે. જે સો ટકા આદિવાસી વસ્તી ધરાવે છે. પરંતુ પહાડી વિસ્તારોના કારણે અહીં વસતા લોકોને ખુબ સંઘર્ષ કરવો પડે છે. તેવામાં આ તરતી એમ્બ્યુલન્સ એક વરદાન રૂપી સાબિત થશે. કારણ કે, નદી માર્ગે ખુબ ઝડપી રીતે આ વિસ્તાર લોકોને સારવાર મળી શકશે. વીટીવી ન્યૂઝ પણ તંત્રના આ પ્રયાસને બિરદાવે છે.