અમદાવાદમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે નારોલમાં વધુ એક પરિવાર સાયબર ક્રાઈમનો શિકાર થયો છે. નારોલમાં રહેતા રમેશભાઈ ભાવસારને રૂપિયા 500નું મરચું 1 લાખ 16 હજારમાં પડ્યું.
આરોપી ટોળકીએ પૈસા પરત આપવાના નામે રમેશભાઈ પાસેથી એટીએમનો નંબર અને ઓટીપી મેળવ્યો હતો. અને ત્યારબાદ ત્રણ વખત ટ્રાન્જેકશન કરીને રૂપિયા 1 લાખ 16 હજાર ઉપાડીને છેતરપિંડી કરી હતી. ભાવસાર પરિવારે છેતરપિંડીને લઈને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. હાલ સાયબર ક્રાઈમ અને નારોલ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
9 માર્ચના રોજ રમેશભાઈએ ઓનલાઈન રૂપિયા 500નું એક કિલો લાલ મરચુ મંગાવવાનો ઓર્ડર આપ્યો હતો. 13 માર્ચના રોજ તેમના ઘરે મરચુ આવ્યું. પરંતુ એક કિલોના બદલે 500 ગ્રામ આવ્યું હતું. જેથી એક કિલોના પૈસા લીધા હોવા માટે 250 રૂપિયા પરત મેળવવા રમેશભાઈએ ગુગલથી હેલ્પલાઈન નંબર મેળવીને આરોપીઓનો સંપર્ક કર્યો હતો. ત્યારે આરોપીઓએ રૂપિયા પરત આપવાના બહાને OTP અને ATM નંબર મેળવીને 1 લાખ 16 હજારની છેતરપિંડી આચરી હતી.