શ્રાવણ મહિનો હિન્દુઓ માટે સૌથી પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં લોકો સોમવારના ઉપવાસ રાખે છે અથવા આખો શ્રાવણ મહિનો તેઓ ઉપવાસ કરે છે. આ ધાર્મિક મહિનામાં સોળ સોમવારનું વ્રત પણ આવે છે જે કરવાથી તમને ઘણા ફાયદા થાય છે. તો આજે અમે તમને જણાવીશું કે આ વ્રત કેવી રીતે થાય અને તેનો મહિમા શું છે.
શ્રાવણ મહિનો હિન્દુઓનો પવિત્ર મહિનો
શ્રાવણમાં થાય છે સોળ સોમવારના વ્રત
શીવજીની કૃપા પ્રાપ્ત કરવા થાય છે આ વ્રત
વ્રતની વિધી
સોળ સોમવારના વ્રતની વિધી ખૂબ જ સરળ છે. સવારે સૂર્યોદય પહેલા ઉઠવુ અને સ્નાનાદિથી પરવારી જવું, બાદમાં ઘરમાં રહીને શીવજીની પૂજા કરવી તથા મદિર જઇને શિવલીંગ પર દૂધાભિષેક કરવો. શીવજી સમક્ષ બેસીને વ્રત કરવાનો સંપર્ક કરવો. સવારે અને સાંજે શીવજીની પૂજા કરવી. પૂજા માટે તલના તેલનો દીપક પ્રગટાવવો અને ભગવાન શિવને પુષ્પો અર્પણ કરવા. ભગવાન શિવજીને સોપારી, પંચામૃત, નાળીયેર અને બિલ્વપત્ર અર્પણ કરવા. વ્રત દરમિયાન સોળ સોમવારના વ્રતની વાર્તા અચુક વાંચવી.
સોળ સોમવારના વ્રતથી થતા ફાયદા
શ્રાવણ મહિનો શિવજીને સમર્પિત છે. આથી, કોઇપણ ભક્ત સાચા મનથી અને આસ્થાપૂર્વક મહાદેવની પૂજા કરે અને ઉપવાસ કરે તો નિશ્ચિતરૂપે શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
વિવાહિત મહિલાઓ તેના દાંપત્યજીવનમાં ખુશીઓ લાવવા માટે અને અવિવાહિત યુવતીઓ સારા પતિની પ્રાપ્તિ માટે પણ શિવજીનું વ્રત રાખે છે.
કાવડ યાત્રા
આ પવિત્ર મહિનામાં શિવભક્તો દ્વારા કાવડ યાત્રા યોજવામાં આવે છે. ઉત્તરાખંડમાં આવેલી શિવનગરી હરિદ્વાર અને ગંગોત્રી ધામમાં સેંકડો શિવ ભક્તો આવે છે. તેઓ આ યાત્રાધામોથી ગંગાનું પાણી કાવડમાં ભરીને તેમના ખભા પર ઊંચકીને લઇ જાય છે અને બાદમાં તે ગંગાજળથી શિવજીનો અભિષેક કરવામાં આવે છે. આ યાત્રામાં ભાગ લેનારા ભક્તોને કાવડિયા અથવા કાવરિયા તરીકે ઓળખવામાં આવે છે.
કાવડ યાત્રાની પૌરાણિક કથા
કાવડ યાત્રા સાથે સંખ્યાબંધ કથાઓ સંકળાયેલી છે જેમાંથી એક કથા અનુસાર, એવું કહેવામાં આવે છે જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્રમંથન કર્યું ત્યારે તેમાંથી રત્નોની સાથે વિષ પણ નીકળ્યું હતું જેનાથી બ્રહ્માંડનો નાશ થવાનો ભય હતો. બ્રહ્માંડની રક્ષા માટે ભગવાન ભોળાનાથે તે વિષ પી લીધું હતું અને પોતાના ગળામાં અટકાવી રાખ્યું હતું.
આમ કરવાથી તેમનું ગળું નીલા (વાદળી) રંગનું થઇ જતા તેમનું નામ નીલકંઠ પડ્યું. વિષની વિપરિત અસર શિવજીના શરીર પર પડી ત્યારે તેમના ભક્ત રાવણે કાવડમાં ગંગાજળ લાવીને શિવજીનો અભિષેક કર્યો હતો અને તેનાથી શિવજીને વિષના દુષ્પ્રભાવથી મુક્તિ મળી હતી. ત્યારથી શિવજીની ઉપાસના માટે કાવડ યાત્રા યોજાતી હોવાનું માનવામાં આવે છે.