કેવડિયા કોલોનીમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગયું છે અને જેના કારણે સરકાર હવે કેવડિયામાં દેશના 33 રાજ્યોના ભવનો અહીંયા બનાવવાનું આયોજન કર્યું છે અને દરેક રાજ્યોના અધિકારીઓ પણ અહીંયા જમીનો જોવા આવી રહ્યા છે જેનાં કારણે સરકારી વિભાગો દ્વારા જમીન માપણીઓનું કામ કરવામાં આવી રહ્યું છે. જેનો ગામ લોકોએ ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. અને સતત છેલ્લા અઠવાડિયાથી આવું ચાલી રહ્યું છે.
અત્યાર સુધી ગ્રામજનોએ 4 વખત જમીન માપણી સર્વેવાળા અધિકારીઓને ધક્કે ચઢાવી ભગાડ્યા છે હાલ જે જગ્યાએ કેવડિયા ગામની જમીન પર હરિયાણા ભવન બનવાનું છે અને આવતીકાલે હરિયાણાના મુખ્યમંત્રી અહીં આવી આ ભવનનું ખાતમહૂર્ત પણ કરવાના છે. આ જગ્યાએ 6 ગામનાં આદિવાસીઓએ બેસી જઈ ભજન કીર્તન કરી હરિયાણા સરકાર પાછી જાવ ના નારા લગાવી રહ્યા છે અને ધરણા પ્રદર્શન કરી રહ્યાં છે.
હવે આ જમીન સંપાદન અંગેનો મામલો દિવસે દિવસે ગંભીર બનતો જાય છે. ગ્રામજનોનું કહેવું છે કે અહીં અમે કોઈપણ ભવન બનાવવા દઈશું નહીં. તંત્રના કોઈપણ અધિકારી આ મામલે કંઈપણ બોલવા તૈયાર નથી. તેમજ ગ્રામજનો ને આપેલા વાયદા મુજબ સંપાદિત જમીનોના રેકર્ડ પણ બતાવતા નથી.