એક તરફ દેશના કેટલાક રાજ્યોમાં ખેડૂતો કૃષિ કાયદાને લઇને વિરોધ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ગુજરાતના ખેડૂતો પણ કેટલીક સમસ્યાઓને લઇને મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠાના દિયોદરમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન મળતા આજે રોષે ભરાયેલા ખેડૂતો ધરણા પર બેઠા હતા. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સિંચાઇ માટે ખેડૂતોને કેનાલ મારફતે પાણી ન આપતા ખેડૂતો નાયબ કલેક્ટર કચેરી આગળ ધરણા પર બેસી જઈ જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
દિયોદરમાં ખેડૂતો ધરણા પર બેઠા
સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ
ખેડૂતો આજે નાયબ કલેક્ટર કચેરીમાં ધસી આવ્યા હતા
બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી સુજલામ સુફલામ કેનાલ પસાર થાય છે, પરંતુ સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી ન મળતા અહીંના ખેડૂતોની હાલત દિવસે દિવસે કફોડી બની રહી છે. છેલ્લા ઘણા સમયથી અનિયમિત વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઉંડા જઈ રહ્યા છે. અત્યારે સ્થિતિ એવી બને છે કે 1000 ફૂટ સુધી પણ પાણી મળતું નથી.
નર્મદા નિગમ દ્વારા જો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તો આ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પણ મળી રહે. તે માટે અહીંના ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતું નથી. જેના કારણે ખેડૂતો ના પાકને મોટું નુકસાન થાય છે, જેથી સરકાર સામે રોષે ભરાયેલા ખેડૂતો આજે નાયબ કલેક્ટર કચેરીમાં ધસી આવ્યા હતા.
5 તાલુકાના અંદાજિત 300થી 400 જેટલા ખેડૂતોએ નિદ્રાધીન સરકારને ખેડૂતો નો અવાજ સંભળાય તે માટે ઢોલ વગાડતા વગાડતા નાયબ કલેક્ટર કચેરી પહોંચી ઘરણા પર બેસી ગયા હતા અને જ્યાં સુધી કેનાલમાં પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.