ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈત આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમણે VTV સાથે કેટલીક ખાસ વાતચીત કરી હતી આવો જાણીએ કે તેમણે શું કહ્યુ ?
ગુજરાતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતની એન્ટ્રી
કૃષિ કાયદાના વિરોધમાં આપશે કાર્યક્રમ
ગુજરાત સરકાર પર રાકેશ ટિકૈતના પ્રહાર
ગુજરાતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતની એન્ટ્રી થઈ ચુકી છે. કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતમાં આજે કાર્યક્રમ આપશે. ત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, ટેન્ક, ટ્રેક્ટર અને ટ્વીટરથી દેશ ચાલે છે. રાકેશ ટિકૈતે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતુ કે, ગુજરાતના ખેડૂતોને પણ ટેકાના ભાવન નથી મળતા. ગુજરાતના ખેડૂતોને આંદોલન કરતા સરકાર રોકી રહી છે. સરકાર સાથે હાલ વાટાઘાટોના કોઈ સંકેત નહીં.
ખેડૂત સંસ્થાઓએ ટિકૈતને આપ્યું છે આમંત્રણ
ખેડૂત નેતારાકેશ ટિકૈત ગુજરાતમાં બે દિવસના પ્રવાસે છે. ત્રણ કૃષિ કાયદા મુદ્દે રાકેશ ટિકૈત દ્વારા ગુજરાતનો પ્રવાસ કરવામાં આવી રહ્યો છે. ખેડૂત સંસ્થાઓએ રાકેશ ટિકૈતને આમંત્રણ આપ્યું હતું. અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ રાકેશ ટિકૈત બે દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. તેમની સાથે કેટલાક કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ રહેશે.
એક વત્તા એકનો ગણગણાટ
ખેતીથી જોડાયેલા ત્રણેય કૃષિ કાયદાઓ વિરૂદ્ધ 4 મહિનાથી દિલ્હીની અલગ-અલગ બોર્ડરો પર ખેડૂતો કેન્દ્ર સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. હવે તે આંદોલનને લઇને ખેડૂત નેતા ગુજરાત પણ પહોંચવાની તૈયારી કરી રહ્યા છે અને આ કામમાં તેમની મદદ કરી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા.
ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતના બે અલગ-અલગ શહેરોમાં ખેડૂત મહાસંમેલન કરાવવા જઇ રહ્યા છે. આ મહાસંમેલન 4 અને 5 એપ્રિલે થશે, જેની શરૂઆત 4 એપ્રિલે ગુજરાતમાં શક્તિપીઠ માં અંબાજીના દર્શનની સાથે કરવામાં આવશે. રાકેશ ટિકૈત ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં અને દક્ષિણ ગુજરાતમાં બારડોલીમાં કિસાન મહાસંમેલનને સંબોધિત કરશે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ તેમની સાથે આ મહાસંમેલનમાં સામેલ થશે.
જાણો શું રાકેશ ટિકૈતનો કાર્યક્રમ
શક્તિપીઠ અંબાજીના દર્શન સાથે ખેડૂત મહાસંમેલનની કરશે શરૂઆત
પાટીદારોના કુળદેવીના દર્શન કરીને પાટીદારોને જોવાનો પ્રયાસ
મહત્વનું એ પણ છે કે ઉત્તર ગુજરાતમાં વધુ પડતા ખેડૂત પાટીદાર છે. તેવામાં રાકેશ ટિકૈત પાટીદારોના કુળદેવી ઉંઝા ઉમિયાધામના દર્શન કરવા સાંજે 5 વાગ્યે પહોંચશે. આ પાટીદારોને જોડવાના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહ્યું છે.
ગાંધી આશ્રમ બાદ સરદાર પટેલની જન્મભૂમિ કરમસદ પહોંચશે
આગામી દિવસે 5 એપ્રિલે સવારે અંદાજિત 7 વાગ્યે અમદાવાદમાં ગાંધી આશ્રમમાં ગાંધીજીને માળા અર્પણ કરી, સરદાર પટેલની જન્મભૂમિ કરમસદ પહોંચશે. કરમસદથી અંદાજિત 11 વાગ્યે વડોદરાના છાની પાસે ગુરૂદ્વારામાં દર્શન કરશે અને 3 વાગ્યે બારડોલીમાં ખેડૂતો સાથે સંવાદ કરશે.
ગુજરાતના ખેડૂતો નથી આવ્યા કૃષિ કાયદાના સમર્થનમાં કે વિરોધમાં
સ્પષ્ટ છે કે અત્યાર સુધી ગુજરાતના ખેડૂતો ન તો કૃષિ કાયદાના સમર્થનમાં ખુલીને આવ્યા છે અને ન તો કૃષિ કાયદાના વિરોધમાં ખુલીને આવ્યા છે. તેવામાં રાકેશ ટિકૈત અને શંકરસિંહ વાઘેલાનો આ પ્રયત્ન છે કે તેઓ ખેડૂતોને કૃષિ કાયદા અંગે વધુમાં વધુ માહિતી આપી શકે અને તેમને ખુદના સમર્થનમાં ઉભા કરી શકે.
ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા સંયુક્ત કિસાન મોર્ચાના યુદ્ધવીર સિંહ અમદાવાદમાં આ અંગે પત્રકાર પરિષદ યોજી રહ્યા હતા, જ્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.