નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 20 દિવસથી ખેડૂતોએ આંદોલન શરૂ કર્યુ છે. બીજી તરફ ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. ગઈકાલે એક દિવસનો પ્રતિક ઉપવાસ પણ કર્યો હતો. એવામાં ગુજરાતમાંથી 500 ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે.
કાતિલ ઠંડીમાં રાત-દિવસ રસ્તા પર ખેડૂતોનું આંદોલન
ગુજરાતથી 300થી વધુ ખેડૂતો આંદોલનમાં જોડાયા
સરકારની નજરમાંથી છટકી ખેડૂતો દિલ્લી પહોંચ્યા
કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે છેલ્લા 20 દિવસથી દિલ્હી બોર્ડર પર ખેડૂતોએ આંદોલન શરૂ કર્યુ છે જે દિવસે દિવસે ઉગ્ર બનતુ જાય છે. ગુજરાતમાં ખેડૂતો આ આંદોલનને સમર્થન આપી રહ્યાં છે. ભારત બંધમાં પણ ગુજરાતના ગામડાઓ સ્વયંભૂ બંધ રહ્યા હતાં.
આંદોલનમાં ભાગ લેવા સોમવારે રાજ્યના 300 ખેડૂતો દિલ્હી પહોંચી ગયા હોવાનું કિસાન મોરચાએ સત્તાવાર રીતે જણાવ્યું હતું. મોરચાના સૂત્રોના કહ્યા પ્રમાણે મંગળવારે ગુજરાતમાંથી બીજા 200 ખેડૂતો દિલ્હી જશે,પણ કયાંથી અને કેવી રીતે જશે તે ગુજરાત પોલીસની ભીંસને કારણે જાહેર કરશે નહીં.
શું કહે છે ખેડૂત નેતા?
ગુજરાતના ખેડૂતો રાજસ્થાનના ઉદેપુરમાં પોતાનીરીતે પહોચ્યાં પછી ત્યાંથી બસ ભાડે કરીને દિલ્હી પહોંચી રહ્યા છે. કોંગ્રેસ કિસાન મોરચાના પ્રમુખ પાલ આંબલિયાએ કહ્યું હતું કે, મારા સહિત 300 જેટલા ખેડૂતો ઉદેપુર થઇને દિલ્હી પહોંચી ગયા છીએ. અમે વાયા ઉદેપુર થઇને બસ અને કાર મારફત દિલ્હી પહોંચી રહ્યા છીએ. હજુ બુધવારે બીજા 200 ખેડૂતો ગુજરાતથી દિલ્હી આવવા રવાના થશે. તેમણે કહ્યું હતું કે, 12 ખેડૂતોને પોલીસે અટકાયત અને નજર કેદ કર્યા છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, પોલીસ દમનથી ગુજરાતના ખેડૂતોને સરકાર ડરાવી રહીં છે,પણ આવનારી પેઢીને ઇસ્ટ ઇન્ડિયા કંપની જેવું રાજ ભોગવવું ન પડે એટલે અમે ગમે તે રીતે દિલ્હી પહોંચીને આંદોલનમાં જોડાશું.
20થી વધુ નેતા નજરકેદ
દિલ્હી કૂચના એલાનને પગલે પોલીસે આંદોલનકારી નેતાઓને ઘરમાં નજરકેદ કરી લીધા હતાં. સૌરાષ્ટ્રમાં 20થી વધુ ખેડૂત નેતાઓને તેમના નિવાસસૃથાને પોલીસે નજરકેદ કરી લીધા હતાં. બે ખેડૂત નેતાઓની તો અટકાયત કરી હતી.
ખેડૂત સંઘર્ષ સમિતીના નેતા ડાહ્યાભાઈ ગજેરા પણ પહોંચ્યા
આ દરમિયાન, ખેડૂત સંઘર્ષ સમિતીના પ્રમુખ ડાહ્યાભાઇ ગજેરાને પણ નજરકેદ કરાયા હતાં. જોકે, તેઓ વેશપલટો કરીને ઉદયપુર પહોંચ્યા હતાં. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી અલગ અલગ ટુકડીઓમાં ખેડૂતો રવિવારે સાંજ સુધી ઉદયપુર પહોંચ્યા હતાં. ઉદયપુરમાં પત્રકાર પરિષદ યોજી ખેડૂત આગેવાનોએ ગુજરાત સરકાર પર એવા આકરા પ્રહારો કર્યા હતાં કે, દિલ્હી ચલો રોકવા સરકારે 12 ખેડૂત સંગઠનોના નેતાઓની અટકાયત કરી હતી. ખેડૂતોએ દિલ્હી જવા ભાડે કરાયેલી બસો પણ પોલીસે રદ કરાવી દીધી હતી. પોલીસના દમન વચ્ચે પણ વેશપલટો કરી ખેડૂતો દિલ્હી પહોચ્યાં છે.