ઉનાળો શરૂ થતા પશુ-પંખીઓની હાલત બદતર થઇ જાય છે. પશુઓ પાણી અને ઘાસચારા માટે વલખા મારે છે. ત્યારે બનાસકાંઠના દાંતીવાડાના ખેડૂતની ઉદારતા સામે આવી છે. દાંતીવાડાના શીવાભાઇ નામના ખેડૂતે દયા દાખવી છે.
રખડતી ગાયોની અવદશા જોઇને પોતાના ખેતરનો પાક ચરાવી દીધો. આ ગાયો કચ્છ, રાજસ્થાન તરફથી આવી છે. આ ખેડૂતે 5 વીઘાના બાજરીના પાકમાં ગાયો છોડી દીધી.
પોતાના નોખા તરી આવતા સૌંદર્યને કારણે ભલે `કચ્છડો બારે માસ...' કહેવાતો હોય પરંતુ સાથે સાથે અહી ઘાસપાણીની અછત પણ માલધારીઓના લમણે બારેમાસ લખાયેલી છે. એમાંય ઉનાળો શરૂ થતા જ કચ્છમાં પાણીની ભારે તંગી સર્જાઈ છે. માલધારીઓ માટે કચ્છનો એક આશાભર્યો ઘાસયુક્ત મેદાની વિસ્તાર બન્ની પણ આ વર્ષે સૂકોભટ મરુસ્થલ લાગવા લાગ્યો છે. ત્યારે માલધારીઓએ માલઢોરને જીવતા રાખવા હિજરત કરી રહ્યા છે.
મહત્વનું છે કે કચ્છના અનેક વિસ્તારો એવા છે જ્યાં પીવાનું પાણી અને ઘાસચારો નથી મળી રહ્યો. ત્યારે આ પ્રકારે કચ્છ-રાજસ્થાનમાંથી આવેલી રખડતી ગાયોને દાંતીવાડાના ખેડૂતે પોતાના ખેતરમાં ચરાવી દેતા માનવતાનો કિસ્સો સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગાયો માટે ઉભા પાકનું દાન ભચાઉ તાલુકાના જંગી ગામના શેરમામદભાઈએ કર્યું હતું. દુષ્કાળની પરિસ્થિતિમાં ગાયોઓ માટે પોતાના ખેતર વાડીમાં પાક ચરાવવાની છુટ આપી દીધી હતી.