બનાસકાંઠાના લાખણીના કુડા ગામે એક પરિવારના 4 લોકોની હત્યાને લઈ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી. હત્યાને લઈ ચૌધરી સમાજના લોકોમા રોષ જોવા મળ્યો હતો. તેમજ જ્યાં સુધી આરોપી ના પકડાય ત્યાં સુધી પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાની ના પાડવામાં આવી હતી. પોલીસે આરોપીને પકડવાનું આશ્વાસન આપતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. સમાજના આગેવાનોની બે દિવસની સમજાવટ બાદ પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. ત્યારે આ 4 લોકોની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે.
સામુહિક હત્યાકાંડ મામલે મહત્વનો ખુલાસો
બનાસકાંઠાના લાખણીમાં સામુહિક હત્યાકાંડ મામલે મહત્વનો ખુલાસો થયો છે. હત્યાકાંડ મામલે SP પ્રદિપ સેજુલે ખુલાસા કર્યા છે કે પિતાએ જ કરી પરિવારના 4 સભ્યોની હત્યા કરી હતી. SITની તપાસમાં પિતાએ હત્યા કર્યાનું ખુલ્યું છે. ફોરેન્સિક અને સંયોજિક પુરાવાના આધારે પોલીસે દાવો કર્યો છે. પિતા કરશન પટેલે માનસિક તણાવમાં ભર્યું ઘાતક પગલું હતું. વ્યાજખોરોના ત્રાસને કારણે પિતા તણાવમાં હોવાનો ખુલાસો થયો છે. પોલીસે 2 વ્યાજખોરોની 306 કલમ હેઠળ અટકાયત કરી છે. દિવાલ પર ઉલ્લેખ કરાયેલા અન્ય 7 શખ્સોની પુછપરછ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસ હત્યા અને દુષ્પ્રેરણા અંગે તપાસ કરી રહી છે.
મહત્વનું છે કે, એક પરિવારના 4 લોકોની હત્યાને લઈ ચૌધરી સમાજના લોકોમા રોષ જોવા મળ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા હાલ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
જોકે અગાઉ હત્યા થયાના દિવસોમાં લોકોમાં મેસેજ ફરતો થયો હતો. પિતાએ હત્યા નથી કરી પણ બહારની કોઈ વ્યક્તિએ હત્યા કરી હોવાનું પોલીસે નિવેદન કર્યું હતું. જોકે પ્રાથમિક તપાસમાં જ પોલીસને પિતા પર શંકા હતી.
ઉલ્લેખનીય છે કે, 21 લાખ રૂપિયાની ઉઘરાણી મુદ્દે પરિવારના મોભીએ જ પરિવારના અન્ય ચાર સભ્યોની હત્યા કરી પોતે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હત્યા કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કરનાર પિતા કરશન પટેલની હાલત ગંભીર થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે ત્રણ દિવસ બાદ પિતા કરશન પટેલનું મોત થયું હતું. ત્યારે પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે પરિવારના ચાર સભ્યોની હત્યા ઘરના મોભી કરશન પટેલ દ્વારા કરવામાં આવી હતી.