રાજ્યમાં એક તરફ કોરોના બેફામ બન્યો છે. જો કે, કોરોનાથી થતાં મોતનો આંકડો પહેલા કરતા ઘણો કાબૂમાં છે ત્યારે માર્ગ અકસ્માતથી થતાં મોતના આંકડાએ ચિંતા વધારી છે.
રોડ સેફ્ટીમાં ગુજરાતના નિરાશાજનક આંકડાઓ
ગુજરાતમાં રોજના 18 લોકોના અકસ્માતમાં મૃત્યુ
2 વર્ષમાં વાહન અકસ્માતમાં 13456 લોકોના મૃત્યુ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં માર્ગ સલામતી સપ્તાહની જાન્યુઆરી માસમાં જ ઉજવણી કરવામાં આવી છે ત્યારે તાજેતરમાં સામે આવેલા રાજ્યમાં થયેલા માર્ગ અકસ્માતોના આંકડા ભયાનક છે.
ગુજરાતમાં દરરોજના 18 લોકોના મોત
રોડ સેફ્ટીમાં ગુજરાતના આંકડાઓની વાત કરવામાં આવે તો રાજ્યમાં દરરોજના 18 લોકોના મૃત્યુ અકસ્માતમાં થાય છે. આ આંકડો ખરેખર નિરાશાજનક ગણાવી શકાય. છેલ્લા 2 વર્ષમાં વાહન અકસ્માતમાં 13,456 લોકોના મૃત્યુ થયાં છે. તો આ સાથે જ રાજ્યમાં 2 વર્ષમાં 30,377 વાહન અકસ્માતની ઘટના બની છે.
ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં મોત
રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતની ઘટનામાં 1351 લોકોના મૃત્યુ થયાં છે. આ આંકડા રાજ્યમાં સૌથી વધુ અને ચિંતાજનક છે, બીજા નંબરે સુરતમાં 1237,તો રાજકોટમાં 655,કચ્છમાં 578 લોકોના મૃત્યુ માર્ગ અકસ્માતની ઘટનામાં થયાં છે.
કોરોના કરતા માર્ગ અકસ્માતની ઘટનામાં વધુ લોકોના થયાં મોત
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જો કે, વેક્સિનેશન કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને સારવાર પણ યોગ્ય રીતે અપાઇ રહી છે. હાલ કોરોનાને કારણે ગુજરાતમાં દરરોજના 2-3 લોકોના મોત થઇ રહ્યા છે. તો માર્ગ અકસ્માતની ઘટનાઓને કારણે ગુજરાતમાં દરરોજના 18 લોકોના મોત થઇ રહ્યા છે.
રોડ સેફ્ટી ઑથૉરિટી લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય છે ગુજરાત
રાજ્ય વિધાસભામાં ગુજરાત રોડ સેફ્ટી ઑથૉરિટી (GujROSA)એક્ટ, 2018 લાગુ થયાના લગભગ 3 વર્ષ બાદ ડિસેમ્બર, 2020માં એક્ઝીક્યુટીવ કમિટી મેમ્બરની નિમણૂક સાથે રોડ સેફ્ટી ઑથોરિટીની રચના કરવામાં આવેલ. જણાવી દઇએ કે, કેરળ બાદ ગુજરાત ભારતનુ એવુ બીજુ રાજ્ય છે જેણે એવી સમિતિની રચના કરી છે.
વાહન અકસ્માત સારવાર યોજના કરાઇ છે લાગુ
અકસ્માતમાં થતો મૃત્યુ દર ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 'વાહન અકસ્માત સારવાર યોજના' લાગુ કરવામાં આવી હતી. જેમાં ઇજાગ્રસ્તને 50 હજાર સુધીની સહાય મળે છે. ગુજરાત સરકાર દ્વારા અકસ્માતને લઇને ગત વર્ષે મહત્વની યોજના લાગુ કરવામાં આવી હતી. રાજ્યમાં દર વર્ષે અંદાજિત 30,000 જેટલા માર્ગ અકસ્માત થાય છે. જેમાં 6500 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ જો આમાંના ઇજાગ્રસ્ત વ્યક્તિને સમયસર તાત્કાલિક સારવાર આપવામાં આવે તો તેનો જીવ બચી શકે છે. બની શકે એટલો અકસ્માતમાં મૃત્યુ દર ઘટાડવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા 'વાહન અકસ્માત સારવાર યોજના' લાગુ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ 48 કલાકમાં ઇજાગ્રસ્તને કોઇપણ જાતની સારવાર માટે 50,000 સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે.
વાહન અકસ્માત સારવાર યોજનાના શું છે નિયમો?
- ગુજરાત રાજ્યની હદમાં, કોઇપણ વિસ્તારમાં, કોઇપણ વાહનમાં બેઠેલા વ્યક્તિને અકસ્માત નડે અને તેમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને યોજના હેઠળ સહાય મળી શકે છે.
- ઇજાગ્રસ્ત વ્યક્તિ ગુજરાતી હોય કે બિનગુજરાતી તેમને પણ યોજના હેઠળ સારવાર મળશે.
- આ યોજનાનો લાભ લેવા માટે યોજના પ્રમાણેનો પત્ર મેળવવાનો રહેશે. જેને ક્લેઇમ ફોર્મ સાથે રજૂ કરવાનો રહેશે.