કેન્દ્ર સરકારે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયાને અનિવાર્ય કરી દીધી છે. પરંતુ શું તમે જાણો છો પાન કાર્ડ ક્યાં ક્યાં વપરાઈ છે. આવો જાણીએ પાનકાર્ડ બનાવવાથી શું ફાયદા થાય છે.
પાન કાર્ડ એક વ્યક્તિ કે કંપની માટે જરૂરી દસ્તાવેજ
તેનો ઉપયોગ માત્ર ટેક્સ ભરવા પુરતો જ સીમિત નથી
બિઝનેસ શરૂ કરવા માટે પણ પાન કાર્ડનો ઉપયોગ
પાન કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ છે, જેનો ઉપયોગ ઘણી જગ્યા પર કરવામાં આવે છે, તેનો ઉપયોગ માત્ર આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે અથવા કરદાતાઓ માટે જ નથી થતો, પરંતુ ઘણી જગ્યાએ તેનો ઉપયોગ થવા લાગ્યો છે. કેન્દ્ર સરકારે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયાને અનિવાર્ય કરી દીધી છે. હવે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા પર 1000 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. આવો જાણીએ પાનકાર્ડ બનાવવાથી શું ફાયદા થાય છે. આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને ટ્રેક કરવા માટે ઉપયોગમાં લેવા ઉપરાંત, ઘણા વ્યવહારો માટે પાનકાર્ડ આવશ્યકપણે જરૂરી છે. માટે પાનકાર્ડના ઉપયોગ અંગે માહિતી હોવી ખૂબ જરૂરી છે. પાન કાર્ડનો ઉપયોગ કરવાના ઘણા ફાયદા છે. જેમાં બિઝનેસ શરૂ કરવા, ટેક્સ ડિડક્શન બેનિફિટ્સ, ડિમેટ એકાઉન્ટ ખોલવા, ઇન્કમ ટેક્સ ફાઇલિંગ, ફોરેન કરન્સી ખરીદવા ઉપરાંત ઘણા ફાયદા સામેલ છે.
બિઝનેસ શરૂ કરવા
જયારે બિજનેસ શરૂ કરવાની વાત આવે ત્યારે પાનકાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત સરકારે નક્કી કરેલા ધારાધોરણો મુજબ દેશના દરેક વ્યવસાય માટે પાન ફરજિયાત છે. સાથે જ બિઝનેસમાં કંપનીઓને બિઝનેસ કરવા અને ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે ટેક્સ રજિસ્ટ્રેશન નંબર કે ટીઆરએનની પણ જરૂર પડે છે.
ટેક્સ ડિડક્શન
પાન કાર્ડને બેન્ક સાથે જોડવામાં આવે ત્યારે ચાર્જ ઓછું કપાય છે. જો બચત થાપણો પર વાર્ષિક 10,000 રૂપિયાથી વધુની વ્યાજ આવક ધરાવતી વ્યક્તિએ તેના પાનને બેંક ખાતા સાથે લિંક કર્યું નથી, તો સંબંધિત બેંક 10% ને બદલે 30% ના દરે ટીડીએસ કાપશે.
ડીમેટ ખાતું કે બેન્ક એકાઉન્ટ ખોલવા
સેબીના નિયમ મુજબ જો કોઇની પાસે પાનકાર્ડ ન હોય તો ડિમેટ એકાઉન્ટ ખોલી શકતો નથી, એટલે કે તે શેરબજારમાં રોકાણ પણ કરી શકતો નથી.
આવકવેરા રિટર્ન ફાઈલ
આવકવેરાને પાત્ર દરેક વ્યક્તિએ પોતાનું આવકવેરા રિટર્ન ભરવું પડે છે અને તે માટે પાનકાર્ડ જરૂરી છે.
આરબીઆઈના બોન્ડ કે વીમાનું રોકાણ અને ખરીદી
રોકાણ કરતા પહેલા વ્યક્તિએ સૌથી પહેલા એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર ઉપલબ્ધ ફોર્મ ભરવાનું રહેશે. આ ઉપરાંત તેમણે એડ્રેસ પ્રૂફ અને પાનકાર્ડની સેલ્ફ વેરીફાઇડ કોપી મૂકવાની રહેશે. આરબીઆઈના બોન્ડમાં 50,000 રૂપિયા કે તેથી વધુનું રોકાણ કરવા માટે પાન કાર્ડ ફરજિયાત છે.
વિદેશી મુદ્રા લેવા માટે
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ મુજબ 50 હજાર રૂપિયા કે તેથી વધુની વિદેશી કરન્સી ખરીદવા માટે પાન કાર્ડ જરૂરી છે.
સ્થાવર મિલકતની ખરીદી અથવા વેચાણ
સ્થાવર મિલકત વેચતી વખતે અથવા ખરીદતી વખતે વ્યક્તિએ પાન વિગતો આપવી જરૂરી છે. ઉદાહરણ તરીકે જો ઘરની કિંમત 10 લાખ રૂપિયાથી વધુ હોય તો પાન કાર્ડ ફરજિયાત છે.
ફોર-વ્હીલર ખરીદવું કે વેચવું
જો કોઈ વ્યક્તિ ફોર વ્હીલરનું વેચાણ કે ખરીદી કરે તો પાનકાર્ડ પણ ફરજિયાત છે. કોઈ વ્યક્તિ કાર ખરીદવા માટે લોન લેવા માગતી હોય તેવા કિસ્સામાં પણ તેની પાસે પાનકાર્ડ હોવું જરૂરી છે.
કેશ ડિપોઝિટ, પેમેન્ટ ઓર્ડર, બેન્કર ચેક, બેન્ક ડ્રાફ્ટ
જો કોઈ પે ઓર્ડર, બેન્કર ચેક, બેન્ક ડ્રાફ્ટ અને 50,000 રૂપિયાની મર્યાદાથી વધુ કેશ ડિપોઝિટની રકમનો વિકલ્પ પસંદ કરવા માંગે છે, તો પાનકાર્ડ બતાવવું પડશે.