કૃષ્ણમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે વાત કરીએ એવા મંદિરની જ્યાં ભગવાન સાત વર્ષના બાળક સ્વરુપમાં બિરાજમાન છે. ભક્તો અહીં ઘણી વાર ચાંદીના રમકડા પણ ભગવાનને ચઢાવે છે.
નાથદ્વારા મંદિરનો રોચક ઇતિહાસ
શ્રીનાથજીની દાઢીમાં હીરો છે ખાસ
ઔરંગઝેબ પણ ભગવાનની મૂર્તિને અડી પણ ન શક્યો
ભગવાન શ્રીકૃષ્ણના ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ મંદિરો આવેલા છે. આપણો ઇતિહાસ જાણીએ તો, મુઘલ શાસનમાં ઔરંગઝેબ મૂર્તિ પૂજાનો વિરોધી હતો એટલે તેના શાસનકાળમાં અનેક મંદિરો તોડવાના આદેશ આપ્યા હતા. ત્યારે વાત કરીએ એવા એક મંદિરની જેની મૂર્તિ ઔરંગઝેબ પણ તોડાવી ન શક્યો. આ વાત છે બનાસ નદીના કિનારે આવેલા નાથદ્વારાની. અહીં એક તીર્થ સ્થાન આવેલુ છે જ્યાં ભગવાન વિષ્ણુ સાત વર્ષના શિશુ અવતારમાં બિરાજમાન છે. અને તે છે શ્રીનાથજી મંદિર. ત્યારે આજે જાણીએ આ મંદિરના કેટલાર રોચક રહસ્યો વિશે.
નાથદ્વારા મંદિરનો ઇતિહાસ
ઇ.સ 1600ની વાત છે. મુઘલ શાસક ઔરંગઝેબે હિંદુ મંદિરોને તોડવાના આદેશ આપ્યો હતા. ત્યારે વારો આવ્યો મથુરા જિલ્લામાં સ્થિત શ્રીનાથજીને તોડવાનો આદેશ આપ્યો અને કાર્યવાહી શરુ પણ કરવામાં આવી હતી. જો કે મંદિરમાં મૂર્તિને કોઇ ક્ષતિ ન પહોંચે તે માટે પુજારીએ મૂર્તિને લઇને બહાર નીકળી ગયા. બળદગાડીમાં મૂર્તિ મૂકીને તેઓ અનેક રાજાઓ પાસે પહોંચ્યા અને હાથ જોડીને વિનંતી કરી કે તેઓ શ્રીનાથજીનું મંદિર બનાવીને તેમાં આ મૂર્તિની સ્થાપના કરે. જો કે ઔરંગઝેબના ડરથી એક પણ રાજાએ આ કાર્ય કરવા સહમતી દર્શાની નહી. આથી પૂજારી દામોદર દાસ બૈરાગીએ મેવાડના રાજા રાણા રાજસિંગ પાસે મદદ માંગી. મેવાડના રાજાએ આ પૂજારીને મદદ કરવા હાથ આગળ લંબાવ્યો.
મેવાડના રાણા રાજ સિંહે ફેંક્યો પડકાર
જ્યારે ઔરંગઝેબે કિશનગઢની રાજકુમારી ચારુમતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મોકલ્યો ત્યારે ચારુમતીએ સ્પષ્ટ ના પાડી દીધી. પછી રાતોરાત રાણા રાજ સિંહને સંદેશો મોકલવામાં આવ્યો. રાણા રાજ સિંહે કોઈ પણ વિલંબ કર્યા વગર કિશનગઢમાં ચારુમતી સાથે લગ્ન કર્યા. આ કારણે ઔરંગઝેબે રાણા રાજ સિંહને પોતાનો દુશ્મન માનવા માંડ્યા. તો બીજી તરફ પૂજારીના કહેવા પર રાણા રાજ સિંહે ઔરંગઝેબને ખુલ્લો પડકાર ફેંક્યો. બળદગાડામાં રાખવામાં આવેલી શ્રીનાથજીની મૂર્તિને કોઈ અડશે પણ નહીં. જો ઔરંગઝેબ હુમલો કરશે તો પહેલા એક લાખ રાજપૂતો સાથે લડવુ પડશે.
શ્રીનાથજીની પાદુકા કોટા પાસે રાખવામાં આવી છે
તે સમયે જોધપુર પાસેના ચૌપાસની ગામમાં શ્રીનાથજીની મૂર્તિ બળદ ગાડામાં હતી અને ચૌપાસની ગામમાં ઘણા મહિનાઓથી બળદગાડામાં શ્રીનાથજીની મૂર્તિની પૂજા થતી હતી. આ ચૌપાસની ગામ હવે જોધપુરનો એક ભાગ બની ગયું છે અને જ્યાં આ બળદગાડું ઊભું હતું ત્યાં આજે શ્રીનાથજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે કોટાથી 10 કિમી દૂર શ્રીનાથજીની ચરણ પાદુકાઓ તે સમયથી આજ સુધી રાખવામાં આવી છે, તે જગ્યાને ચારણ ચોકી તરીકે ઓળખવામાં આવે છે.
ખુદ રાણા રાજસિંહે મૂર્તિનું કર્યુ સ્વાગત
બાદમાં મૂર્તિને ચૌપાસનીથી સિહાર લાવવામાં આવી હતી. ડિસેમ્બર 1671ના રોજ, રાણા રાજ સિંહ પોતે સિહાર ગામમાં શ્રીનાથજીની મૂર્તિઓનું સ્વાગત કરવા ગામમાં ગયા હતા. આ સિહાર ગામ ઉદયપુરથી 30 માઈલ અને જોધપુરથી લગભગ 140 માઈલના અંતરે આવેલું છે, જેને આજે આપણે નાથદ્વારા તરીકે ઓળખીએ છીએ. મંદિરનું નિર્માણ ફેબ્રુઆરી 1672 ના રોજ પૂર્ણ થયું અને મંદિરમાં શ્રી નાથજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી.
શ્રીનાથજી મંદિરના 10 રોચક તથ્યો
કૃષ્ણ જન્મોત્સવે 21 તોપોની સલામી
બાળસ્વરુપે બિરાજમાન શ્રીકૃષ્ણના જન્મોત્સવે શ્રીનાથજીમાં રાત્રે 12 વાગે 21 તોપોની સલામી આપવામાં આવે છે. મંદિરમાં બ્યુગલ અને બેન્ડ વગાડીને હર્ષોલ્લાસ પૂર્વક જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે.
શ્રીનાથજી બાળ સ્વરૂપમાં દર્શન
જેવી રીતે બાળ કૃષ્ણએ પોતાની ટચલી આંગળીમાં ગોવર્ધન પર્વત ઊંચો કર્યો હતો તેવા જ સ્વરુપે શ્રીનાથજીમાં કૃષ્ણ મૂર્તિ જોવા મળે છે. તેમની પૂક્તિ કાળા આરસના પથ્થરમાંથી બનેલી છે. ડાબો હાથ હવામાં ઉંચો છે અને જમણા હાથની મુઠ્ઠી કમર પર છે. સાથે એક સિંહ, બે ગાય, એક પોપટ અને એક મોર પણ જોવા મળે છે. આ બધા શ્રીનાથજી પાસે ત્રણ ઋષિઓના ચિત્રો પણ રાખવામાં આવ્યા છે.
દિવસમાં આઠ વખત શ્રીનાથજીની પૂજા
ભગવાન શ્રીનાથજી વૈષ્ણવ સંપ્રદાયના મુખ્ય દેવતા છે. આ સંપ્રદાયની સ્થાપના વલ્લભાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. ભક્તિ યોગના અનુયાયીઓ અને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના વૈષ્ણવો મુખ્યત્વે શ્રીનાથજીને માને છે અને તેમની પૂજા કરે છે. વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજી ભગવાન શ્રીનાથજીના પરમ ભક્ત હતા અને નિઃસ્વાર્થપણે ભગવાનની સેવા અને પૂજા કરતા હતા. નાથદ્વારા શહેરમાં તેમણે જ શ્રીનાથજીની ભક્તિને પરાકાષ્ઠાએ પહોંચાડી હતી. અહીં ભગવાન શ્રીનાથજીની દિવસમાં આઠ વખત પૂજા કરવામાં આવે છે.
શ્રીનાથજીની ડાઢીમાં હીરો છે ખાસ
ભગવાનના હોઠ નીચે ડાઢી પર એક હીરો લાગેલો છે. કહેવામાં આવે છે કે મુઘલ શાસક ઔરંગઝેબની માતા દ્વારા શ્રીનાથજીને હીરાની ભેટ આપવામાં આવી હતી. જ્યારે ઔરંગઝેબ શ્રીનાથદ્વારા મંદિર પર ચઢાઇ કરી તો તેની આંખોની રોશની જતી રહી. ઔરંગઝેબને પોતાની ભૂલનો પસ્તાવો થતા તેણે માફી માંગી તો તેની આંખોની રોશની પાછી આવી ગઇ. આ વાતની જાણ ઔરંગઝેબની માતાને થતા તેઓએ મૂર્તિના શણગાર માટે હીરો મોકલાવ્યો હતો.
શ્રીનાથજી મંદિરની તમામ મિલકતો છે મંદિર માલિકીની
ઉદયપુરના તત્કાલિન શાસકે 1934માં આદેશ જારી કર્યો હતો કે શ્રીનાથજી મંદિર સંબંધિત તમામ પ્રકારની મિલકતો સંપૂર્ણ રીતે મંદિરની માલિકીની રહેશે. તે સમયે શ્રીનાથજી મંદિરના મુખ્ય પૂજારી શ્રી તિલકાયત જી મહારાજને મંદિરના આશ્રયદાતા, ટ્રસ્ટી અને મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મંદિર સાથે જોડાયેલ 562 પ્રકારની સંપત્તિનો દુરુપયોગ ન થવો જોઈએ, તેથી ઉદયપુરના શાસકે શ્રીનાથજી મંદિરની સંભાળ લેવાનો અધિકાર અનામત રાખ્યો હતો.
પિછવાઈ કળા છે કેન્દ્રમાં
નાથદ્વારા મંદિરની દિવાલ રાજસ્થાનના પિછવાઈ પેઇન્ટિંગની પ્રખ્યાત શૈલીમાં બનાવવામાં આવી છે. આ તમામ ચિત્રો નાથદ્વારાના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે હિંદુ ધર્મની કલા અને સંસ્કૃતિમાં શ્રીનાથજીના ભક્તોએ પિછવાઈ કલામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. પિછવાઈ આર્ટ દિવાલો, કાપડ, કાગળ અને રંગોનો ઉપયોગ કરીને ખૂબ જ સુંદર ચિત્રો બનાવવામાં આવે છે. આ પિચવાઈ શૈલીમાં ભગવાન શ્રીનાથજીના અનેક ચિત્રો બનાવવામાં આવ્યા છે. નાથદ્વારા આ પિચવાઈ કલાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે.
30 ગામો મળેલા છે દાનમાં
કહેવાય છે કે આ મંદિરમાં દરરોજ 125 મણ ચોખાનો ભોગ ચઢાવવામાં આવે છે. વિસ્તારના વનવાસી બંધુઓ ભોગ પ્રાપ્ત કરે છએ. જેને લૂટના કહેવામાં આવે છે. ભોગમાં વપરાતી કસ્તુરી સોનાની ચક્કી વડે પીસવામાં આવે છે. આ ઉપરાંત શ્રીનાથજીને 56 પ્રકારના ભોગ પણ ચઢાવવામાં આવે છે. મંદિર ગૃહને નંદ બાબાનું ઘર કહેવાય છે. ભંડાર ઘરમાં ઘી અને તેલનો સ્ટોક રહે છે. રાજ્યોના 30 ગામો મંદિરને દાનમાં મળેલા છે.
દેશના સમૃદ્ધ મંદિરોમાંનું એક
અહીં શ્રીનાથજીનું ભવ્ય મંદિર આવેલું છે, જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના વડા (મુખ્ય) પીઠ છે. નાથદ્વારાનો શાબ્દિક અર્થ શ્રીનાથજીનો દરવાજો છે. શ્રી કૃષ્ણ અહીં શ્રીનાથજીના નામથી પ્રસિદ્ધ છે. વૈષ્ણવ સંપ્રદાયનું આ મંદિર ભારતના સૌથી ધનાઢ્ય મંદિરોની શ્રેણીમાં આવે છે જેમ કે શિરડીમાં સાંઈબાબા, તિરુપતિમાં બાલાજી અને મુંબઈમાં સિદ્ધિ વિનાયક મંદિર.
રમકડા પણ ભગવાનને કરાય છે અર્પણ
ભલે દેશ-વિદેશમાં શ્રીનાથજીના મંદિરો અનેક જગ્યાએ છે, પરંતુ શ્રીનાથજીના દરેક મંદિરમાં એટલા બધા ભક્તો એકઠા થતા નથી. નાથદ્વારા નગરની સાંકડી ગલીઓ મથુરા-વૃંદાવનનો અહેસાસ કરાવે છે. લોકોમાં શ્રીનાથજી પ્રત્યે એટલી ઊંડી શ્રદ્ધા અને આદર છે કે આખું વર્ષ અહીં ભક્તોની ભીડ રહે છે. શ્રીનાથજીમાં આસ્થા ધરાવનારનું માનવું છે કે અહીં જે પણ ઇચ્છા વ્યક્ત કરવામાં આવે છે તે પુરી થાય છે. આ મંદિરમાં ભગવાન બાળ સ્વરુપે હોવાથી ભક્તો ભગવાન માટે રમકડા પણ લાવે છે.કેટલાક ભક્તો પૂજા દરમિયાન ભગવાનને પ્રાણીઓ, ગાયો અને ગૌચરની ચાંદીની બનેલી નાની લાકડીઓ અર્પણ કરે છે.
શ્રીનાથજીની યાત્રા કરવાથી મળે છે ફળ
એટલે કે જે વ્યક્તિ ભારતના ચારે ખૂણામાં આવેલા રંગનાથ, દ્વારકાનાથ અને બદ્રીનાથના દર્શન કર્યા પછી શ્રીનાથદ્વારાની યાત્રા નથી કરતો તેને યાત્રાનું ફળ મળતું નથી.