રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ અને એડવોકેટ મહેન્દ્ર ફળદુ આપધાત કેસમાં ઘટનાના 15 દિવસ બાદ પણ નામાંકિત આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. રાજકોટ-અમદાવાદના સાતેય બિલ્ડરો ઘરને તાળા મારી થયા પલાયન થયા છે. અમદાવાદ તો ઠીક રાજકોટનો એક પણ આરોપી પોલીસને હાથ ન લાગ્યો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ઓઝોન ગ્રુપની ઓફિસે રાજકોટ પોલીસે સર્ચ કર્યું હતુ.
આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર કેમ તે મોટો સવાલ
રાજકોટના બહૂચર્ચીત મહેન્દ્ર ફળદુના આત્મહત્યા કેસમાં રાજકોટ પોલીસ દ્વારા SITની રચના કરાઇ છે. અને 4 ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે ઘટનાના 15 દિવસ બાદ પણ સાતેય આરોપી બિલ્ડર હજુ પણ પોલીસ પકડથી દૂર છે. મહત્વનું છે કે પોલીસની ટીમ રાજકોટ અને અમદાવાદના બિલ્ડર ત્યાં પહોંચે તે પહેલા બિલ્ડર ફરાર થઇ ગયા છે. ત્યારે આ મામલે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ટેકનોલોજીના જમાનામાં આરોપીને પકડવા આટલા અઘરા કેમ? શું પોલીસ અધિકારીઓ ઉપર રાજકીય દબાણ છે તેવા પ્રશ્નો લોક મુખે ચર્ચાઈ રહ્યાં છે.
અમદાવાદના 5 અને રાજકોટના બે બિલ્ડર સામે ગુનો નોંધાયો છે
મહેન્દ્ર ફળદુ આપઘાત મામલે રાજકોટ પોલીસમાં 7 આરોપીઓ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં 5 આરોપીઓ અમદાવાદના અને 2 આરોપીઓ રાજકોટના રહેવાસી છે. જેમાં એમ.એમ. પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેતા જયેશ કાંતિલાલ પટેલ, દીપક પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રણય કાંતિલાલ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. આ તમામ વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાયો છે.