દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો 27 ફેબ્રુઆરીથી સ્થિર બની ગઈ છે, ચૂંટણીના સમયમાં એક તરફ સરકાર માટે આ રાહતની વાત છે અને બીજી બાજુ સરકારે લોકસભામાં એક મોટી વાત સ્વીકારી છે .
મોદી સરકારે સંસદમાં સ્વીકારી મોટી વાત
GSTમાં પેટ્રોલ-ડીઝલ લાવવાની હજુ કોઈ યોજના નથી : મોદી સરકાર
ચૂંટણીના માહોલમાં શા માટે નથી વધી રહી કિંમતો? : વિપક્ષનો વેધક પ્રશ્ન
સંસદમાં ચાલી રહેલા બજેટ સત્રમાં લોકસભાની કાર્યવાહીમાં આજે મોદી સરકાર દ્વારા સદનમાં સ્વીકાર કરવામાં આવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલથી તેમને ખૂબ જ સારી કમાણી થઇ રહી છે, મોદી સરકારે આજે કહ્યું હતું કે 6 મે 2020 પછીથી પેટ્રોલ અને ડીઝલ પર એકસાઇઝ ડ્યુટી, ઉપકર અને વધારાના ટેક્સના હિસાબે તેને અનુક્રમે 33 રૂપિયા અને 32 રૂપિયા પ્રતિ લીટરની કમાણી થઇ રહી છે.જ્યારે કે માર્ચ 2020 થી 5 મે 2020ની વચ્ચે આ કમાણી ક્રમશ: 23 રૂપિયા અને 19 રૂપિયા પ્રતિ લીટર હતી.
ગત જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 13 રૂપિયાનો વધારો
સરકારે લોકસભામાં કહ્યું હતું કે એક જાન્યુઆરીથી 13 માર્ચ 2020ની વચ્ચે સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિ લીટર 20 રૂપિયા અને 16 રૂપિયા કમાણી કરી રહી હતી, આવી રીતે જો 31 ડિસેમ્બર 2020થી સરખામણી કરવામાં આવે તો સરકારની કમાણી પ્રતિ લીટર પેટ્રોલ 13 રૂપિયા અને ડીઝલ 16 રૂપિયા વધી છે.
ચૂંટણીના માહોલમાં કેમ કિંમતો સ્થિર બની ગઈ છે?
વિપક્ષ લગાતાર આ મામલે સરકારને સવાલ કરી રહ્યો છે કે દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં હવે ચૂંટણી યોજવા જઈ રહી છે, તો આ સમયમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો કેવી રીતે સ્થિર રહી શકે છે. જો એની કિંમતો બજાર આધારિત હોય તો આ સ્થિર કેવી રીતે છે, જો કે આ સવાલ પર કેન્દ્ર સરકાર તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નહોતો, રાજ્ય નાણામંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું હતું કે અન્ય દેશો કરતા ભારતમાં બળતણની કિંમતો ઘણા ફેક્ટર પર અવલંબે છે, જેમાં અન્ય દેશોની સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવી છે તે પણ સામેલ છે. જો કે સરકાર તેનો રેકોર્ડ નથી રાખતી.
જીએસટીમાં લાવવાની કોઈ જ યોજના નથી
આની વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમને આજે સંસદમાં કહ્યું હતું કે પેટ્રોલપ-ડીઝલ, વિમાનોના બળતણ અને પ્રાકૃતિક ગેસને આ જીએસટીમાં લાવવાની કોઈ પણ યોજના નથી.