દેશમાં એક તરફ આર્થિક મંદીનો માહોલ વચ્ચે રોજગારી મામલે પણ સ્થિતિ ડામાડોળ છે. ગત 6 વર્ષ દરમિયાન 90 લાખ નોકરીઓની ઘટ પડી છે. આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે કે, રોજગાર મામલે આ પ્રકારની અછતનો સામનો કરવો પડ્યો હોય.
દેશમાં મંદીનો માહોલ
છેલ્લા 6 વર્ષ દરમિયાન 90 લાખ નોકરીની ઘટ
રિપોર્ટમાં થયો ખુલાસો
અજીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ઓફ સસ્ટેનેબલ એમ્પલોયમેન્ટ દ્વારા પ્રકાશિત થયેલ એક રિપોર્ટમાં આ વાત કરવામાં આવી હતી. આ રિપોર્ટ સંતોષ મેહરોત્રા અને જેકે પરિદા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2011-12 થી 2017-18 વચ્ચે રોજગારીની તકમાં અછત સર્જાઇ છે.
90 લાખ નોકરીઓની અછત
મેહરોત્રા અને પરિદાના મતાનુસાર 2011-12 થી 2017-18 વચ્ચે કુલ 90 લાખ રોજગારની અછત જોવા મળી છે. ભારતના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે. સંતોષ મેહરોત્રા જવાહર લાલ નહેરું યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. જ્યારે જે.કે. પરિદા સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ પંજાબમાં અધ્યાપક છે.
રિપોર્ટમાં જોવા મળ્યો વિરોધાભાસ
આ રિપોર્ટના પરિણામ અને હાલની સ્ટડીમાં મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2011-12થી 2017-18 વચ્ચે 1.4 કરોડ નોકરીઓનો વધારો થયો છે.
પહેલા પણ કરાયો છે આ વિષયનો અભ્યાસ
આ વિષય પર જવાહર લાલ નહેરૂ યુનિવર્સિટીના સંશોધક હિમાંશુએ પણ અભ્યાસ કર્યો હતો, આ સ્ટડીમાં વર્ષ 2011-12થી લઇને 2017-18 વચ્ચે 1.6 કરોડ નોકરીઓની અછત સર્જાઇ હોવાની વાત કરવામાં આવી હતી.