રાજ્યમાં એક બાજુ વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે બીજી તરફ પોતાના હક માટેના આંદોલનોએ જોર પકડ્યુ છે. રાજ્યમાં એક સાથે 3 આંદોલનો હાલ જોવા મળી રહ્યા છે.
અમે 3300 વિદ્યાસહાયકોની ભરતી કરી છેઃ વાઘાણી
સમસ્યાનુ સમાધાન ન આવે ત્યાં સુધી ઢોર નિયંત્રણ કાયદો સ્થગિતઃ વાઘાણી
સરકારી તબીબોના ઘણા બધા પ્રશ્નનું નિરાકરણ કર્યું છેઃ મનોજ અગ્રવાલ
આંદોલન 1 - વિદ્યાસહાયક
રાજ્યમાં વિદ્યાસહાયકોની ભરતીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. શિક્ષકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. વિદ્યાસહાયકોએ ગાંધીનગરમાં સચિવાલય પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. 12 હજાર શિક્ષકોની ભરતી અને પ્રવાસી શિક્ષકોની પ્રથા રદ કરવાની માંગ સાથે રસ્તો બ્લોક કરીને વિદ્યાસહાયકોએ વિરોધ કર્યો હતો.
જીતુ વાઘાણીની પ્રતિક્રિયાઃ વિદ્યાસહાયકોની ભરતીને લઈને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું કે કાયદો કાયદાનું કામ કરે છે. અમે અગાઉ 3300 જેટલા વિદ્યાસહાયકોની ભરતી પણ કરી હતી. આગામી સમયમાં નીતિ નિયમો મુજબ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે.
આંદોલન 2 - ઢોર નિયંત્રણ કાયદો
તો માલધારી સમાજ દ્વારા રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે. ગૌચરની જમીન ખાલી કરાવો પછી કાયદો લાવો તેવી માગ સાથે માલધારી સમાજે રાજ્યમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિધાનસભામાં પસાર થયેલો કાયદો રદ કરવા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. હાલ કાયદાને મોકૂફ રખાયો છે, પરંતુ માલધારી સમાજના આગેવાનો અને વિપક્ષની માંગ છે કે કાયદો મોકૂફ નહીં પરંતુ રદ્દ કરવામાં આવે.
જીતુ વાઘાણીની પ્રતિક્રિયાઃ ઢોર નિયંત્રણ કાયદા પર રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે, કોઈને તકલીફ પડે એ પ્રકારનું કામ રાજ્ય સરકાર ન કરે. CMની માલધારી સમાજના આગેવાનો સાથે બેઠક થઈ છે. લોકોની સમસ્યાનુ સમાધાન ન આવે ત્યાં સુધી કાયદો સ્થગિત.
આંદોલન 3 - ડૉક્ટરોની હડતાળ
તો રાજ્યભરમાં સિનિયર સરકારી ડૉક્ટરો પણ પોતાની અલગ અલગ માંગણીઓ મુદ્દે હડતાળ પર ઉતર્યા છે. રાજ્યમાં સરકારી તબીબોની હડતાલનો ચોથો દિવસ છે. 10 હજાર ડૉક્ટર હડતાળ પર ઉતરતા રાજ્યની સરકારી હોસ્પિટલોમાં તમામ સેવાઓ ખોરવાઈ હતી. દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. OPD અને ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી તબીબો અળગા રહ્યા હતા.
મનોજ અગ્રવાલની પ્રતિક્રિયાઃ સરકારી તબીબોની માગ અંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે, ઘણા બધા પ્રશ્નનું નિરાકરણ કર્યું છે. 1 જૂન 2019 નોન પ્રેક્ટિસ એલાઉન્સ અપાશે. 7માં પગાર પંચ આધારે 20% ચૂકવીશું. છેલ્લો હપ્તો 2024 સુધીમાં ચૂકવી દેવામાં આવશે. નોન પ્રેક્ટિસ એલાઉન્સનું વેતન 2 લાખ 37 હજાર 500 નિયત કરાયું. 3 વર્ષનુ એરિયર્સ 5 હપ્તામાં ચૂકવવામાં આવશે. બોન્ડેડ ડૉક્ટરનું વેતન 84 હજારથી વધારીને 95 હજાર કરાયું છે. 1 જૂન 2019થી નોન પ્રેક્ટિસ એલાઉન્સ અપાશે. GMERS 8 કોલેજ કાર્યરત છે બીજી 5 કોલેજ શરૂ કરાશે.