કોરોના વાયરસ બાદ હવે ઇબોલા વાયરસે વઘારી ચિંતા, વૈજ્ઞાનિકોના મતે ખૂબ જ જીવલેણ ગણાતો ઈબોલા વાયરસ સારવાર બાદ પણ સંપૂર્ણપણે નાબૂદ થતો નથી.
કોરોના વાયરસ બાદ ઇબોલાનું જોખન
ચામાચીડિયાને કારણે ફેલાય છે ઇબોલા
સારવાર બાદ પણ વાયરસ રહે છે શરીરમાં
બે વર્ષથી વધુ સમયથી કોરોના સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે. આ અત્યંત ખતરનાક વાયરસને કારણે વિશ્વભરમાં લાખો લોકોના મોત થયા છે. દરમિયાન, તાજેતરના એક અભ્યાસમાં, વૈજ્ઞાનિકોએ કરેલા દાવાથી લોકોની ચિંતા વધી ગઈ છે. વૈજ્ઞાનિકોના મતે ખૂબ જ જીવલેણ ગણાતો ઈબોલા વાયરસ સારવાર બાદ પણ સંપૂર્ણપણે નાબૂદ થતો નથી. એટલું જ નહીં, સારવારથી સ્વસ્થ થયા પછી પણ આ વાયરસ ઘણા સંક્રમિતોના મગજમાં વર્ષો સુધી છુપાયેલો રહી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈબોલાએ વિશ્વના ઘણા દેશોમાં તબાહી મચાવી છે, તેથી જે લોકો તેનાથી સંક્રમિત છે તેઓએ ડૉક્ટરની સલાહ પર ટેસ્ટ કરાવવો જોઈએ.
શું છે ઇબોલા વાયરસ ?
ઇબોલા વાયરસ રોગ (EVD) એક દુર્લભ અને જીવલેણ રોગ છે. સબ-સહારન આફ્રિકાના ભાગોમાં તેના સંક્રમણના કેસ વધુ જોવા મળ્યા છે. તે મોટે ભાગે ચામાચીડિયાને કારણે ફેલાય છે. આ ઉપરાંત, ઇબોલા વાયરસથી સંક્રમિત અથવા મૃત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી પણ લોકોમાં EVDનું જોખમ વધી જાય છે. તાજેતરના અભ્યાસમાં, વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે વર્ષોથી મગજમાં તેના અસ્તિત્વના સંકેતો ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.
સારવાર બાદ પણ વાયરસ જતો નથી
ઇબોલાના જોખમ અંગે સંશોધકોની ટીમમાં એવા સહભાગીઓનો સમાવેશ થાય છે જેઓ આફ્રિકામાં તાજેતરના ઇબોલા વાયરસના પ્રકોપમાં ચેપમાંથી સ્વસ્થ થયા હતા. યુ.એસ આર્મી મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફેક્શન ડિસીઝના વડા ડૉ. ઝેંગ અને તેમની ટીમે અભ્યાસ દરમિયાન શોધી કાઢ્યું હતું કે ઇબોલા વાયરસ સારવાર બાદ પણ શરીરમાંથી સંપૂર્ણપણે ખતમ નથી થતો. તે કેટલાક લોકોના મગજમાં વર્ષો સુધી છુપાયેલ રહી શકે છે, જે ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓનું જોખમ વધારે છે.
સંશોધકો શું કહે છે?
ઇબોલા વાયરસ સારવાર બાદ પણ લાંબા સમય સુધી શરીરમાં છુપાયેલો રહી શકે છે તે દર્શાવતો આ પહેલો અભ્યાસ છે, એમ અભ્યાસના સંશોધક ડૉ. આ વાતનો પુરાવો મનુષ્યો અને વાંદરાઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં જોવા મળે છે. અમને જાણવા મળ્યું છે કે મોનોક્લોનલ એન્ટિબોડી થેરાપ્યુટિક્સ વડે જીવલેણ ઇબોલા ચેપમાંથી સાજા થયેલા લગભગ 20 ટકા વાંદરાઓ હજુ પણ ચેપનું કારણ બનેલા વાયરસ ધરાવે છે. મગજના વેન્ટ્રિક્યુલર સિસ્ટમમાં વાયરસની હાજરી ખાસ કરીને જોવામાં આવી છે. મગજના આ ભાગમાં સેરેબ્રોસ્પાઇનલ પ્રવાહી ઉત્પન્ન થાય છે અને સંગ્રહિત થાય છે. શરીરના તમામ ભાગોમાંથી વાયરસ નાબૂદ થયા પછી પણ તે મગજમાં રહી શકે છે.
વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ છે
સંશોધકોએ જણાવ્યું હતું કે જે લોકો અગાઉ ઇબોલાથી સાજા થયા હતા તેઓમાં પણ ફરીથી રોગના લક્ષણો જોવા મળ્યા હતા. આ ઉપરાંત, અન્ય એક કિસ્સામાં, એવું જાણવા મળ્યું હતું કે ઇબોલા સામે રસી આપવામાં આવેલ વ્યક્તિનું ચેપના છ મહિના પછી મૃત્યુ થયું હતું. ચેપ દરમિયાન તેને મોનોક્લોનલ એન્ટિબોડી ઉપચાર દ્વારા સારવાર આપવામાં આવી હતી, જોકે તેના મગજમાં હજુ પણ વાયરસ હતો.