રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાંની અસરથી અનેક વિસ્તારોમાં પાકને નુકસાન થવા પામ્યું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પાક નુકસાનનું વળતર આપવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 700 કરોડ રૂપિયાનું ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે 700 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરાઇ છે. ત્યારે કમોસમી વરસાદના નુકશાન પેટે આ રકમ ચૂકવાશે. પાક વીમાની રકમ સિવાયની સહાય પણ રાજ્ય સરકાર કરશે.
નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું છે કે, ટૂંક સમયમાં સહાયપાત્ર ખેડૂતોને રકમ ચૂકવાશે. 33 ટકા કરતા વધારે વરસાદ પડ્યો તેમને આ સહાય મળશે. 2 લાખથી વધુ ખેડૂતોને વિશેષ સહાય કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે પાક વીમા યોજના અંતર્ગત સર્વે ચાલી રહ્યો છે. સર્વેના અહેવાલ બાદ વીમા કંપની દ્વારા નાણાં ચુકવવામાં આવશે. પિયત વિસ્તારના ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.13,500 સહાય કરવામાં આવશે. બિનપિયત વિસ્તારના ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.6800 સહાય કરવામાં આવશે. ટેકાના ભાવે પાક ખરીદીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.