ભારત સરકારે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શિક્ષણ તેમજ નોકરીમાં 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી અને સંસદમાં અને રાજયસભામાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ભારત સરકારના આ કાયદાનો અમલ રાજ્યમાં 23 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો હતો.
જો કે લોકસભાની ચૂંટણીને લઈને આચાર સંહિતા લાગુ કરવામાં આવી હતી. જેને લઈને આ કાયદાનું પાલન થઈ શક્યું ન હતું. પરંતુ આચાર સંહિતા સમાપ્ત થયા બાદ સરકાર દ્વારા આ કાયદાને લાગુ કરવામાં આવ્યો છે. આથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી કે,આગામી સત્રથી રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજના મેડિકલ અને એન્જિનિયરીંગના ઉચ્ચ અભ્યાસમાં 10% EBCનો અમલ થશે.
તેમજ સરકારી ભરતીમાં પણ 10 ટકા અનામતનો કાયદો લાગૂ કરાયો હોવાની વાત કરી. તો મેડિકલ, એન્જિનિયરીંગ અને આઈ.ટી. એન્જિનિયરીંગમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ થશે, ત્યારે આર્થિક રીતે પછાત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ભારત સરકાર દ્વારા કેટલાક નોટિફિકેશન્સ જાહેર કરવામાં આવ્યા છે અને આ નોટિફીકેશન્સ પ્રમાણે દરેક વિદ્યાર્થીને 10 ટકાનો આર્થિક અનામતના ક્વોટાનો લાભ નવી પ્રવેશ પ્રક્રિયામાં મળશે તેમ પણ તેમણે કહ્યું હતું.
આ સાથે જ કેબિનેટ બેઠકમાં પણ EBCને મંજૂર કરી દેવામાં આવ્યો છે અને અન્ય અનામતને નુકસાન ન થાય તે પ્રમાણે EBC લાગૂ થશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતું. આ ઉપરાંત નીતિન પટેલે કહ્યુ હતું કે મોટાભાગની મેડિકલ કોલેજમાં 150 બેઠકોની ક્ષમતા હોય છે.
પરંતુ હવે 10 ટકા સવર્ણ અનામત મળતા દરેક મેડિકલ કોલેજમાં આશરે 35 બેઠકોનો વધારો થશે. આમ, આર્થિક રીતે નબળા સવર્ણોને અનામત મળવાથી વર્તમાન અનામતની ટકાવારીમાં કોઈ નુકસાન નહીં થાય.