કોરોનાની મહામારીએ લોકોના જીવન પર ઘેરી અસર પાડી છે અને એમાંય મહાઉત્સવ જનમાષ્ટમી આવતી હોય ત્યારે સાતમ-આઠમના તહેવામાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં યાત્રાધામો અને મંદિરોમાં મેળાનો માહોલ જામે છે પણ આ વખતની સાતમ-આઠમ જરા હટકે ઉજવવી પડશે ત્યારે જગતમંદિર દ્વારકા ઈતિહાસમાં પ્રથમ વખત 3 દિવસ માટે નીજ ભક્તો માટે બંધ રહેશે. એ સિવાય પણ જાણીલો કે કયા કયા મંદિર રહેશે બંધ. આ અંગે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ આ અંગે જાહેરાત કરી હતી.
રાજ્યમાં સાતમ-આઠમને કોરોનાનું ગ્રહણ
લગભગ તમામ મોટા યાત્રાધામ બંધ
જનમાષ્ટમીના પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિર પણ બંધ રહેશે
રાજ્યમાં કોરોના સંકટ ઘેરાઇ રહ્યું છે. અનલોક બાદ ચિંતાજનક રીતે કોરોના વાયરસના કેસ નોંધાઇ રહ્યા છે તો તહેવારોની પણ મોસમ જામી છે. આ સાથે જ બીજી તરફ જોવા જઇએ તે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિર બંધ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
શું કહ્યું ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ
તહેવારમાં ધાર્મિક આયોજન મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મહત્વનું નિવેદન આપ્યું કે આગામી દિવસોમાં તમામ ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકારે નિર્ણય લીધો છે કે જન્માષ્ટમી, પર્યુષણ, તાજીયા સહિતના તહેવારોની જાહેર ઉજવણી નહીં થાય. ભાદરવી પૂનમની પણ ઉજવણી નહીં કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં જન્માષ્ટમી પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિર બંધ રાખવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણને લઈ દ્વારકા તંત્રએ આ મોટો નિર્ણય લીધો છે.
દ્વારકા જિલ્લા કલેક્ટરે લીધો નિર્ણય
નોંધનીય છે કે, જન્માષ્ટમી પર્વ પર અંદાજે દોઢ લાખ યાત્રિકો આ મંદિરની મુલાકાત લે છે. સાવચેતીના ભાગરૂપે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 10થી 13 ઓગષ્ટ સુધી યાત્રિકો માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે. દ્વારકા જિલ્લા કલેક્ટરે મંદિર બંધ રાખવા હુકમ કર્યો છે.
તહેવારો પર કોરોનાનું ગ્રહણ યથાવત છે ત્યારે હવે યાત્રાધામ ડાકોરનું રણછોડરાયજી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નજીકના દિવસોમાં જન્માષ્ટમી પર્વ આવી રહ્યું છે ત્યારે જન્માષ્ટમી-નંદમહોત્સવમાં દર્શન બંધ રહેશે તેવી જાહેરાત સત્તાધિશો દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ એવું પણ જાહેર કરવામાં આવ્યું છે કે, 12 ઓગસ્ટ જન્માષ્ટમી અને 13 ઓગસ્ટ નંદ મહોત્સવ ઉજવાશે પરંતુ તેની ઉજવણી બંધ બારણે કરવામાં આવશે.
ડાકોર મંદિર રહેશે બંધ
યાત્રાધામ ડાકોરનું રણછોડરાયજી મંદિર બંધ રહેશે. જન્માષ્ટમી-નંદમહોત્સવમાં દર્શન બંધ રહેશે. કૃષ્ણ જન્મોત્સવ પણ બંધ બારણે ઉજવાશે. 12 ઓગસ્ટ જન્માષ્ટમી અને 13 ઓગસ્ટ નંદ મહોત્સવ ઉજવાશે. રણછોડજી મંદિર હાલ સમગ્ર શ્રાવણ માસ માટે બંધ કરાયું છે.
વિરપુર જલારામ મંદિર પણ રહેશે બંધ
ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર સાતમ આઠમનો તહેવાર આવતો હોવાથી કોરોનાની મહામારી ન ફેલાય તે માટે મંદિરના દ્વાર બંધ કરાયા છે. હાલ ગુજરાતમાં કોરોનાની મહામારી દિવસેને દિવસે વકરી રહી છે ત્યારે વિરપુર જલારામ મંદિરનો આ નિર્ણય આવકારવાદાયક છે.
8 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો
સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ 8 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જન્માષ્ટમીની રજામાં યાત્રાળું વધુ સંખ્યામાં મંદિરમાં આવી શકે છે. આ શક્યતાને જોતો કોરોના વાયરસને કારણે 8થી 12 ઓગસ્ટ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.