આરોગ્યમંત્રીનો હકારાત્મક અભિગમ પરંતુ, સરકાર દ્વારા કોઇ આદેશ આપવામાં નથી આવ્યા-ડૉ.રજનીશ પટેલ
તબીબોની હડતાળ ચાલુ રહેશે
સરકાર અને તબીબો વચ્ચેની બેઠક બાદ લેવાયો નિર્ણય
આરોગ્યમંત્રીનો હકારાત્મક અભિગમ-ડૉ.રજનીશ પટેલ
રાજ્યના 10 હજાર ડોક્ટર્સ પડતર માંગોને લઇને હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા ઘણા સમયથી ડોક્ટર્સ હડતાળ પર ઉતરતા આરોગ્યની સેવાઓ ખોરવાઇ છે. પડતર પ્રશ્નોની રજૂઆત છતાં પણ કોઇ ઉકેલ ન આવતા ડોક્ટર્સ દ્વારા રોષના ભાગ રુપે હડતાળ પાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હજુ પણ જનતાએ હાલાકી વેઠવી પડશે. હજુ પણ સારવાર મેળવવા માટે ધક્કા ખાવા પડશે કારણ કે ડૉક્ટર્સની હડતાળ યથાવત રહેવાની છે. જી , હા સરકાર અને ડૉક્ટર્સ વચ્ચે બેઠક મળી હતી. આ બેઠક બાદ પણ કોઇ નિર્ણય ન લેવાતા ડૉક્ટર્સની હડતાળ યથાવત રહેશે તેવું સામે આવ્યું છે.
'હડતાળ તો ચાલુ જ રહેશે'
મહત્વનું છે કે છેલ્લા 5 દિવસથી તબીબો હડતાળ પર છે. ત્યારે ગત રોજ સરકાર અને તબીબો વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં ડૉક્ટર્સને લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે ડૉ. રજનીશ પટેલે બેઠક બાદ વાતચીત કરતા જણાવ્યું હતું કે આરોગ્યમંત્રીનો હકારાત્મક અભિગમ છે. તેમના વિચારો સ્પષ્ટ છે. પરંતુ અમારા દરેક મુદ્દા પર કોઇને કોઇ રીતે અસહમતી રહી છે માટે અમારી હડતાળ તો ચાલુ જ રહેશે.
'અમને કોઇ આદેશ અપાયા નથી'
ડૉ. રજનીશ પટેલે બેઠક બાદ જણાવ્યું હતું કે અમારા મુદ્દાની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. સરકારનો અભિગમ હકારાત્મક છે પરંતુ સેવા લક્ષી અમારા જે પ્રશ્નો છે તેની સ્પષ્ટતા જોઇએ એટલી નથી. સરકારે વચન આપ્યુ હતું કે 31-3-22ના રોજ અમને અમારા ઠરાવો આપવામાં આવશે, આદેશ આપવામાં આવશે. પરંતુ આટલી ચર્ચા બાદ અમને કોઇ આદેશ આપવામાં આવ્યો નથી. અમે રેસિડેન્ટ અને કોન્ટ્રાક્ટવાળા ડૉક્ટર્સને હડતાલ પર નથી ઉતાર્યા.
આરોગ્ય સેવા ખોરવાઇ
અંદાજે 10 હજાર તબીબો કામકાજથી દૂર રહેતા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની મેડિકલ સેવાઓ પર ગંભીર અસર પહોંચી છે. રાજ્યભરમાં સરકારી મેડિકલ કોલેજના 10 હજાર જેટલા સિનિયર તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળને પગલે રાજ્યની આરોગ્ય સેવા ખોરવાઇ ગઇ છે.તબીબો દ્વારા અત્યારસુધીમાં ચાર વખત પડતર મુદ્દાઓને લઈને હડતાળ કરવામાં આવી હતી,પરંતુ સરકારે માત્ર મૌખિક બાંયધરી આપતાં તેમણે હડતાળ પરત ખેંચી લીધી હતી .ત્યારે હવે ફરી એકવાર તબીબોએ હડતાળ પાડતા રાજ્યની આરોગ્ય સેવાઓ ઈમરજન્સીમાં આવી ગઈ છે.