સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં થઇ રહેલા મેઘતાંડવને લઈને પાકનું ધોવાણ થતા ધરતીપુત્રોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાક ધોવાયો
જૂનાગઢમાં વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું
નવસારીમાં ખેતરો જળમગ્ન
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં થઇ રહેલ મેઘકહેર અટકવાનું નામ જ ન લેતા ખેડૂતોને સૌથી વધુ નુક્સાની ભોગવવાનો વારો આવ્યો છે. અનરાધાર વરસાદે દ્વારકા, જામનગર સહિત હાલાર અને જૂનાગઢ, ગીરસોમનાથ, વલસાડ, નવસારી, કચ્છ સહિતના જિલ્લાઓમાં તાંડવ રચતાં અનેક જિલ્લાઓમાં ખેતી પાકોનું મોટા પાયે નુકસાન થયું છે. બીજી તરફ અનેક જિલ્લામાં ખેતરો પણ ધોવાયા છે. વધુમાં ખેતરોમાં નદીઓની માફક પાણી ભર્યા રહેલા હોવાથી અમુક ખેતરોમાં મગફળી, કપાસ સહિતનો પાક સડી ગયો છે. લાખો રૂપિયાનો ખર્ચ કરીને મહામહેનતે પાક ઉગાડ્યા બાદ વરસાદ વેરી બનતા જગતના તાતને માંથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. અને ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે. બીજી તરફ અમુક પંથકમાં સીઝનનો પ્રથમ વરસાદ શરૂ થયા બાદ આજ સુધી મેઘમહેર બંધ ન થતાં ખેતરોમાં પગ મુકાય તેવી સ્થિતિ નથી. જેને લઇને પણ હજુ ઘણા વિસ્તારોમાં વાવેતર બાકી છે. વધુમાં આજે પણ અમુક ગામડા એવા છે જ્યાં મેઘરાજાનું આગમન જ નથી થયુ જયા લોકો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.
કલ્યાણપુરના ખાખરડા ગામની વાડીઓમાં પાક ધોવાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘતાંડવથી ભારે નુકસાન થયું છે. કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામના ખેતરોમાં મોટાપાયે ધોવાણ થયું છે. વધુમાં લાંબા સમયથી ખેતરોમાં ભરાયેલા પાણી ભરાયેલા હોવાથી પાક નિષ્ફળ ગયો છે અને ફરી વાવેતર કરવાની ખેડૂતોને નોબત આવી છે. 15 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ઠેર-ઠેર વિનાસ વેરાયો છે. 15 દિવસથી વરસેલા 20 ઇંચથી વધુ વરસાદથી નુકસાન થતાં VTV ની ટીમ ખાખરડા ગામના ખેડૂતો પાસે પહોચી હતી. જ્યાં ખેડૂતોએ ભારે હૈયે વેદના વ્યક્ત કરી હતી.
જૂનાગઢમાં મગફળી અને કપાસના ખેતરો ડૂબી ગયા
આ ઉપરાત જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ઇન્દ્રાણા ગામે પણ અનરાધાર વરસાદને લઈને ચારે કોર પાણી-પાણી જેવી સ્થિતિ છે. ગામના ખેતરોમાં ઓઝત નદીના પાણી ઘૂસતા ખેતરોનું અને પાકનું ધોવાણ થયું છે. મગફળી અને કપાસના ખેતરો પાણીમાં જળમગ્ન થયા છે. જેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નોંધનિય છે કે, નવા નીરની આવક થતાં ઓઝત નદીના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેને લઇને ઘેડ વિસ્તાર જળબંબાકાર થઇ જતા પાકનું ધોવાણ થયું છે.
નવસારીમાં અંબિકા નદીમાં પૂરને કારણે નુકસાન
તો નવસારી જિલ્લામાં પણ અંબિકા નદીમાં પૂરને લીધે ખેડૂતોને હાડમારી સહન કરવાનો વારો આવ્યો છે. અંબિકા નદીમાં પૂરને પગલે ગણદેવી અંબિકા કાંઠાના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. વાડી અને ખેતરોમાં પાણી ભરાતા ખેતીના પાકોનું ધોવાણ થયું છે. નવસારીના ધમડાછા, તલીયારા, દેવધા, ભેસલા, ભાઠા, છાપર, ગડત, સોનવાડી સાલેજ ગામે નદીના પાણી ઘુસ્યા છે.