50 જેટલા ગુજરાતીઓ ઘટનાસ્થળ નજીકના વિસ્તારમાં છે. એક ગુજરાતી યુવતીએ પોતાનો સંદેશો વીડિયો માધ્યમથી પહોંચાડ્યો છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટવાથી મોટી હોનારત સર્જાઈ છે. ત્યારે આ સમયે હરિદ્વાર સહિત ઉત્તરાખંડના અનેક વિસ્તારમાં ગુજરાતીઓ પણ ફરવા પહોંચ્યા છે. રાજકોટ, અમદાવાદ સહિતના જિલ્લામાં ગુજરાતીઓ ઉત્તરાખંડમાં છે. 50 જેટલા ગુજરાતીઓ ઘટનાસ્થળ નજીકના વિસ્તારમાં હતા. એક ગુજરાતી યુવતીએ પોતાનો સંદેશો પહોંચાડ્યો છે. જેમાં તેઓ સુરક્ષીત સ્થળ પર હોવાની વાત કરી રહ્યા છે.
ચમોલી જિલ્લા જોશીમઠમાં ગ્લેશિયર તૂટવાથી ધૌલીગંગા નદીમાં પુર આવી ગયું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે ઘટના સ્થળે પહોંચીને માહિતી મેળવી છે. ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી હોનારત સર્જાઈ છે. 10 મૃતદેહ મળ્યાની પ્રાથમિક માહિતી છે. તપોવન ટનલમાં 15-20 લોકો ફંસાયા છે, જેમનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. પૂરનું પાણી ફેલાવાની શક્યતા છે.
જોકે આસપાસના વિસ્તારોથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આનાથી ઋષિગંગા પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે. ITBP, NDRF અને SDRGની કેટલીક ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં અલર્ટ છે.
વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે કરી વાતચીત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફોન પર વાત કરી જણાવ્યુ હતું કે ગુજરાતના પ્રવાસીઓને તાત્કાલિક રેસ્ક્યુ કરીને પૂરમાં ફસાયેલા પ્રવાસીઓને મદદ કરવા અંગેની વાત કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના CSને જરૂરી મદદ પહોંચાડવા આદેશ કર્યા છે.
સી.આર.પાટીલે કહ્યું કે, ગુજરાતીઓની સલામતી માટે ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં છે. સૌની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરૂ છું. ઉત્તરાખંડ સરકારે ગુજરાતીઓને મદદની ખાતરી આપી છે.