રાજકોટના હાઇ પ્રોફાઇલ દેવાયત ખવડના મારામારી કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. કારણ કે દેવાયત ખવડના વકીલે મારામારીના વીડિયોને લઇને ચોંકાવનારો દાવો કર્યો છે.
દેવાયત ખવડના મારામારી કેસમાં નવો વળાંક
માર મારનાર શખ્સ દેવાયત ન હોવાનો દાવો
CCTVમાં માર મારનારનું મોઢુ નથી દેખાતું: વકીલ
રાજકોટના દેવાયત ખવડના મારામારીના કેસમાં બચાવપક્ષના વકીલે વીડિયોમાં દેખાનાર શખ્સ દેવાયત ખવડ ન હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે કારણ કે CCTVમાં માર મારનારનું મોઢું પણ દેખાતું નથી હોવાનું તેઓનું કહેવું છે.
CCTV ફૂટેજમાં કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું: વકીલ
બચાવપક્ષના વકીલ ઉત્કર્ષ દવેના દાવા અનુસાર, તેઓનું કહેવું છે કે, ક્યાંક ને ક્યાંક આ આપસી દુશ્મનીનો મામલો છે એવું સામે આવી રહ્યું છે. પોલીસે 307 હેઠળ આ FIR કરી છે. આ FIR સંપૂર્ણપણે ખોટી છે. જો આ પ્રોસિક્યુશનનો જ કેસ માનવા જઇએ અને જે CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે તે CCTVમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું. તે કોઇક ડંડા અથવા તો લોખંડના પાઇપ વડે એના પર હુમલો કરી રહ્યો છે, તેના પગ પર મારી રહ્યો છે. માથાના ભાગે કોઇએ માર્યું નથી. સાતથી આઠ વખત તેને માર્યું છે અને કોઇ ગંભીર ઇજા એને કરી નથી તો 307નો ઉમેરો તેમાં ક્યારેય થાય નહીં.
હુમલામાં સંડોવણી ધરાવનાર અન્ય શખ્સ હજુ પોલીસ પક્કડથી દૂર
તમને જણાવી દઇએ કે, લોક સાહિત્યકાર દેવાયત ખવડ કે જેની પર મયુરસિંહ રાણા નામની વ્યક્તિને માર માર્યાનો આરોપ લાગ્યો છે. આથી તે છેલ્લા કેટલાંક દિવસથી ફરાર હતો. પરંતુ હવે તે પોલીસના શરણે થઇ ગયો છે. ત્યારે પોલીસ આજે દેવાયત ખવડના રિમાન્ડની માંગ કરશે. મયુરસિંહ રાણા પર હુમલાના બનાવમાં પોલીસે દેવાયત ખવડ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. જોકે બીજી બાજુ હુમલામાં સંડોવણી ધરાવનાર અન્ય શખ્સ હજુ પોલીસ પક્કડથી દૂર છે.