રામ મંદિર નિર્માણ માટે સમર્પણ નિધિ અભિયાનની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે પૂર્વ દિલ્હીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે રામ મંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.
રામ મંદિર નિર્માણ માટે સન્માન નિધિ અભિયાન
ગૌતમ ગંભીરે રામ મંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયાનું આપ્યું દાન
ભવ્ય રામ મંદિરના નિર્માણનું તમામ ભારતીયોનું સપનુંઃ ગંભીર
ભાજપના સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ અંગે તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અંતતઃ એક જૂનો મુદ્દો પૂર્ણ થઇ ગયો છે. આનાથી એકતા અને શાંતિનો માર્ગ શરૂ થશે. ભવ્ય રામ મંદિરના નિર્માણનું તમામ ભારતીયોનું સપનું છે. એટલા માટે મે અને મારા પરિવારે એક નાની રકમનું યોગદાન આપ્યું છે.
રામ મંદિર નિર્માણની પ્રક્રિયા જોરશોરથી શરૂ થઇ ચૂકી છે. રામ મંદિર નિર્માણ માટે દેશ-વિદેશથી લોકો દાન આપી રહ્યા છે. જેના માટે 15 જાન્યુઆરીથી વિશ્વ હિન્દુ પરિષદ તરફથી એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે હેઠળ સૌથી પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, બિહારના રાજ્યપાલ ફાગૂ ચૌહાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અને દિગ્ગજોએ દાન આપ્યું છે.
મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ગત વર્ષ ઓગસ્ટમાં ભૂમિ પૂજન કર્યું હતું. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, રામ મંદિરની ઇંટ મુકાયાના 36થી 40 મહિનાની અંદર મંદિર તૈયાર થઇ શકે છે.