દિલ્હી કોમી તોફાન મામલે દિલ્હી હાઈકોર્ટે મોટી રાજકીય હસ્તીઓને નોટીસ પાઠવીને તેમની પાસેથી જવાબ માગ્યો છે.
દિલ્હી રમખાણ મામલે હાઈકોર્ટની મોટી કાર્યવાહી
સોનિયા ગાંધી,રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મોકલી નોટિસ
પૂછ્યું શા માટે કેસ ન ચલાવવો જોઈએ, જવાબ આપો
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ભાજપના બે નેતાઓને પણ નોટીસ
તમામને 4 માર્ચ સુધી જવાબ આપવાનો આદેશ
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી રમખાણો મામલે અનેક મોટી રાજકીય હસ્તીઓને નોટિસ મોકલી છે. નોટીસમાં દિલ્હી હાઈકોર્ટે પૂછ્યું છે કે તેમની સામે શા માટે કેસ ન ચલાવવો જોઈએ તેનું કારણ આપો. કોર્ટે આ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલી છે. દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં તમામ પાસેથી 4 માર્ચ સુધી જવાબની માગણી કરી છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ભાજપના બે નેતાઓને પણ નોટીસ
દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ભાજપના નેતા કપિલ મિશ્રા, ભાજપના સાંસદ પરવેશ વર્માને પણ આવી જ નોટિસ મોકલી છે. હાઈકોર્ટે તમામ લોકો પાસેથી 4 માર્ચ 2022 સુધી જવાબ માંગ્યો છે.
રાજકીય નેતાઓએ કોમી તોફાન ભડકાવ્યાં-અરજીમાં આરોપ મૂકાયો હતો
ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. રમખાણો ભડકાવવામાં તેમની કથિત ભૂમિકા બદલ રાજકારણીઓ સહિત અનેક લોકો સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. ગત સુનાવણીમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, શું આ એ જ લોકો છે જેમની સામે આક્ષેપો કરવામાં આવ્યા છે, શું આ જ લોકો આ કેસમાં પક્ષકાર છે? શું અમે ખરેખર તેમની વાત સાંભળ્યા વિના તેમની ધરપકડ કરવાની તમારી અરજી પર આગળ વધી શકીએ?
દિલ્હીમાં તોફાનમાં માર્યા ગયા હતા 53 લોકો
નોર્થ ઈસ્ટ દિલ્હીમાં વર્ષ 2020ની 23 ફેબ્રુઆરીએ કોમી તોફાન થયા હતા. આ દરમિયાન 53 લોકોના મોત થયા હાત. આ કોમી તોફાનમાં 581 લોકો ઘાયલ થયા હતા. 24 અને 25 ફેબ્રુઆરીએ નોર્થ ઈસ્ટ દિલ્હીમાં તોફાનીઓ જબરો ઉત્પાત મચાવ્યો હતો. આ કેસમાં કુલ 755 એફઆઈઆર નોંધવામાં આવી હતી.