રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દિલ્હી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજધાનીમાં કોરોના વાયરસના ચેપના કેસની સંખ્યા 293 પર પહોંચી ગઈ છે. આ કેસમાંથી પુરા 182 કેસ મરકઝથી આવેલા લોકો છે. હજુ સુધી ચાર લોકોનાં મોત નીપજ્યાં છે.
ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કોવિડ-19 ના કેસો આગામી દિવસોમાં રાજધાનીમાં વધી શકે છે કારણ કે સરકારે મરકઝમાંથી કાઢેલા તમામ લોકોની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મરકઝથી સ્થળાંતર કરાયેલા 2346 લોકોમાંથી 108 લોકોએ કોરોના વાયરસના ચેપની પુષ્ટિ થઇ છે.
સરકારે CAPFની 100 ટુકડીઓ ખડકી દીધી
કોવિડ-19 રોગચાળાને પગલે કેન્દ્ર સરકારે લોકડાઉન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે દિલ્હીમાં સીએપીએફની સો કંપનીઓને તૈનાત કરી છે. દિલ્હીમાં લોકડાઉન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા આ કંપનીઓમાં આશરે 10,000 જવાનો વધારી દેવાયા છે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ) ની એક કંપનીમાં લગભગ 100 જવાનોની ક્ષમતા હોય છે.
AIIMSના ડોક્ટરને પણ કોરોના
ગુરુવારે દિલ્હી એઇમ્સમાં એક ડોક્ટરને કોરોના પોઝિટિવ આવ્યો છે. અગાઉ દિલ્હીથી જ આવા બીજા 6 કેસ નોંધાયા હતા. આ રેસિડેન્ટ ડોક્ટર દિલ્હીની એઈમ્સ હોસ્પિટલના ફિઝિયોલોજી વિભાગમાં કામ કરે છે.
4 જ દિવસમાં 100નો આંકડો
દિલ્હીની પરિસ્થિતિ હજી નિયંત્રણ હેઠળ હોવાનું જણાવાઈ રહ્યું હતું. જો કે, છેલ્લા 4 દિવસમાં 103 નવા દર્દીઓને કારણે સરકારની ઊંઘ ઉડી ગઈ છે. છેલ્લા 4 દિવસમાં 29 માર્ચે 23 સંક્રમિત દર્દીઓ , 30 માર્ચે 25, 31 માર્ચે 23 અને 1 એપ્રિલે 32 દર્દીઓ આવ્યા જે એક દિવસમાં સૌથી વધુ કેસીસ છે. આવી સ્થિતિમાં ચિંતા વધી રહી છે.