આમ તો છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાનું સરકારી આંકડાથી લોકોને જાણવા મળે છે એટલે અનેક નાગરિકોને એવું લાગે છે કે હવે કોરોના તો ગયો જ છે, પરંતુ કોરોનાને લગતી કડવી વાસ્તવિકતા ચક્કર લાવી દે એવી છે, કેમ કે ખુદ મ્યુનિ. તંત્રની સત્તાવાર માહિતી મુજબ નવેમ્બર કરતાં ચાલુ ડિસેમ્બર કોરોનાના મામલે ભારે નીકળ્યો છે. ડિસેમ્બરની વિદાયનો આજે અંતિમ દિવસ છે.
કોર માઇકોસિસથી મૃત્યુઆંક પણ વધતો જાય છે
નવા સ્ટ્રેનનાે શંકાસ્પદ કેસ સુરતમાંથી મળી આવ્યો
ડિસેમ્બર મહિનાના પ્રારંભના ૧૫ દિવસ પણ કોરોનાના આતંક
જોકે નવેમ્બરના ૩૦ દિવસ અને ડિસેમ્બરના પસાર થયેલા ૩૦ દિવસ વચ્ચે કોરોનાના કેસની સરખામણી કરતાં કોરોનાના કુલ કેસ વધુ નોંધાયા છે. આમાં ખાસ ઉલ્લેખનીય બાબત તો એ છે કે આ આંકડા મ્યુનિ. તંત્રના જાહેર કરાયેલા છે, જ્યારે સાચા આંકડા તો સરકારી આંકડા કરતાં અનેકગણા વધુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે એટલે આગામી દિવસોમાં પણ કોરોનાથી સાવચેત રહેવાની જરૂર છે. લોકોએ મ્યુકોર માઇકોસિસ અને નવા સ્ટ્રેનથી ખાસ સંભાળવાની આવશ્યકતા છે.
મ્યુકોર માઇકોસિસથી મૃત્યુઆંક પણ વધતો જાય છે
રાજ્ય સરકાર દ્વારા કોરોના અંકુશમાં આવ્યો હોઈ રાત્રી કરફ્યુમાં ઢીલ મુકાઈ છે. તા. ૧ જાન્યુઆરીથી તા. ૧૪ જાન્યુઆરી સુધી અમદાવાદમાં રાતના ૧૦.૦૦ વાગ્યાથી સવારના ૬.૦૦ વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે. રાત્રી કરફ્યુના સમયમાં એક કલાકમાં ઘટાડો કરાયો હોઈ પતંગ શોખીનોએ હરખાઈ જવાની જરૂર નથી. પતંગ શોખીનોએ ઉત્તરાયણની મજા લૂંટતી વખતે કોરોનાની હાજરી, તેના મ્યુકોર માઇકોસિસ નામની કોરોના સાથેની વધુ એક બીમારી તેમજ યુકેથી આવેલા કોરોનાના નવા સ્ટ્રેન વગેરેથી સાવધાન રહેવું પડશે. એક તો કોરોનાના કેસ નવેમ્બર કરતાં ડિસેમ્બરમાં વધુ નોંધાયા છે. મ્યુકોર માઇકોસિસથી મૃત્યુઆંક પણ વધતો જાય છે અને નવા સ્ટ્રેનનાે શંકાસ્પદ કેસ સુરતમાંથી મળી આવ્યો હોઈ કોરોના હજુ પણ લોકોનાં જીવન માટે ડેન્જર છે.
નવેમ્બરમાં કોરોના કુલ ૬,૯૮૬ સત્તાવાર કેસ
મ્યુનિ. તંત્રના ચોપડે ગત નવેમ્બરમાં કોરોના કુલ ૬,૯૮૬ સત્તાવાર કેસ અને ૧૫૪ મૃત્યુ નોંધાયાં હતાં. ગત તા. ૧થી ૧૫ નવેમ્બર સુધી ૨,૫૭૦ કેસ અને ૩૫ દર્દીનાં મોત થયાં હતાં તો દિવાળી બાદ લોકો અને તંત્રની સંયુક્ત બેદરકારીથી શહેરમાં ફરી વળેલી કોરોનાની સેકન્ડ વેવથી તા. ૧૬થી ૩૦ નવેમ્બર સુધી ૪,૪૧૪ કેસ નોંધાયા હતા અને ૧૧૯ દર્દી મૃત્યુ પામ્યા હતા. નવેમ્બરનાં છેલ્લાં બે અઠવાડિયામાં કોરોનાએ આતંક મચાવતાં શહેરના દર્દીને અમદાવાદ બહાર ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ અને કરમસદ સારવાર માટે મોકલવાની તંત્રને ફરજ પડી હતી.
ડિસેમ્બર મહિનાના પ્રારંભના ૧૫ દિવસ પણ કોરોનાના આતંક
જોકે ચાલુ ડિસેમ્બર મહિનાના પ્રારંભના ૧૫ દિવસ પણ કોરોનાના આતંકથી મુક્ત નહોતા. ૧ ડિસેમ્બરે ૩૧૧ કેસ, ૨ ડિસેમ્બરે ૩૦૨ કેસ અને ૩ ડિસેમ્બરે ૩૧૪ કેસ સરકારી ચોપડે ચડ્યા હતા. ત્યાર બાદ કેસનો આંકડો ૩૦૦થી નીચે ઊતર્યો હતો. તેમ છતાં ૧થી ૧૦ ડિસેમ્બર સુધીમાં કોરોનાના નવા ૨,૯૧૩ કેસ શહેરમાં નોંધાઈ ચૂક્યા હતા. જ્યારે ૧૦થી ૧૫ ડિસેમ્બર સુધીમાં કોરોનાના નવા ૧,૨૧૭ કેસ નોંધાતાં ડિસેમ્બરના પહેલા ૧૫ દિવસમાં જ કોરોનાના ૪,૧૩૦ સત્તાવાર કેસ થઈ ચૂક્યા હતા, જ્યારે આ ૧૫ દિવસોમાં કોરોનાએ વધુ ૧૨૮ દર્દીનો ભોગ લીધો હતો.
૪૦ દિવસ બાદ કોરોનાના કેસ ૨૦૦થી નીચે ઘટ્યા
બીજા અર્થમાં કોરોનાની સેકન્ડ વેવનો આતંક મ્યુનિ. તંત્રના ચોપડે પણ ઘટ્યો ન હતો. ત્યાર બાદ તા. ૧૬ ડિસેમ્બરે ૨૩૦, ૧૭ ડિસેમ્બરે ૨૨૪, ૧૮ ડિસેમ્બરે ૨૨૧ એમ કેસ તો ૨૦૦ની ઉપર નોંધાતા રહ્યા હતા. છેક તા. ૨૫ ડિસેમ્બરે પહેલી વાર કેસનો આંકડો ૨૦૦થી નીચે ઊતરીને ૧૮૪ કેસનો થયો હતો. ૪૦ દિવસ બાદ કોરોનાના કેસ ૨૦૦થી નીચે ઘટ્યા હતા. જોકે હજુ પણ કોરોનાના કેસ ૧૫૭થી ૧૭૮ની વચ્ચે રહે છે. ગઈ કાલે શહેરમાં કોરોનાના નવા ૧૫૭ કેસ થયા હતા, જ્યારે ત્રણ દર્દી મૃત્યુ પામ્યા હતા.
૩ નવેમ્બરે ૧૫૪ કેસ અને બે મૃત્યુ નોંધાયાં
નવેમ્બરના પ્રારંભના દિવસોમાં કોરોના અંકુશમાં આવ્યાના તંત્રના દાવા વચ્ચે પણ તા. ૨ નવેમ્બરે ૧૫૬ કેસ અને બે મૃત્યુ, તા. ૩ નવેમ્બરે ૧૫૪ કેસ અને બે મૃત્યુ નોંધાયાં હતાં એટલે ગઈ કાલના કેસ પણ તે દિવસની તુલનામાં તો વધારે જ છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું આજે પણ એટલું જ જરૂરી
૧થી ૩૦ િડસેમ્બરના સમયગાળામાં શહેરમાં ૭,૦૪૨ કેસ અને ૧૮૬ મોત થયાં છે, જે નવેમ્બરની તુલનામાં ૫૬ કેસ અને ૩૨ મૃત્યુ વધુ દર્શાવે છે. હજુ આજના કેસ અને મૃત્યુ તેમાં ઉમેરાશે એટલે કોરોનાથી બચવા જાહેર સ્થળોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું આજે પણ એટલું જ જરૂરી છે.