મોરબીના ઝૂલતા પુલ હોનારતમાં અત્યાર સુધી મોતનો આંકડો 130 ને પાર થઇ ગયો છે. બ્રિજ માત્ર 200 લોકોની ક્ષમતા ધરાવતો હતો. છતાં 400થી 500 લોકોને બ્રિજમાં પ્રવેશ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
આંખ આડા કાનનું ઘોર પરિણામ
ઝૂલતા પુલમાં ક્ષમતા કરતાં વધુ અપાયો પ્રવેશ
વેરિફિકેશન સર્ટી.વગર પુલ ખુલ્લો મૂકાયો
મોરબીના ઝૂલતા પુલ હોનારતમાં અત્યાર 134 લોકોએ જીવ ગુમાવ્યો હોવાની વિગત સામે આવી છે. પુલની દેખરેખ માટેના વ્યવસ્થાપકોને એ ખબર હતી કે પુલ પર વધારે વજન જોખમ સર્જી શકે છે છતાં પૈસા કમાવાની લહાયમાં મુસાફરોને બ્રિજમાં પર જવા દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં ખાનગી કંપનીએ પુલનું રિનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબૂતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો. પુલ કેટલો મજૂબત છે? એની ગુણવત્તા ચકાસ્યા વગર તંત્રને જાણ કર્યા વગર પુલ ચાલુ કરી દેવાતાં આ ઘટના બની છે. આ મામલે રિયાલીટી ચેકમાં ગંભીર છીંડા સામે આવ્યા છે.
સાચા આરોપી સુધી પહોંચશે પોલીસ?
જોકે મોરબી સસ્પેન્શન બ્રિજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી નીમી દીધી છે. આ કમિટી ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ ટીમે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. એફએસએલની ટીમ પણ આ તપાસ ટીમની સાથે હતી. આ ટીમે તૂટેલા કેબલની ફોટોગ્રાફી કરી હતી. ત્યાર બાદ બ્રિજના ટેકનિકલ પાસાઓ અંગે પણ અભ્યાસ શરૂ કરાયો હતો.
તહેવારમાં પુલની ક્ષમતા કરતા વધુ લોકોએ અવરજવર કરી હતી
જો કે, તપાસ કમિટિ સમગ્ર ઘટનાનો રિપોર્ટ તૈયાર કરશે અને રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપશે.ત્યાર બાદ સમગ્ર હકીકત બહાર આવશે.પરંતુ સવાલ એ છે કે, આ બ્રિજનો કોન્ટ્રાક્ટ જેની પાસે હતો એ ઓરેવા ગ્રૂપના માલિક હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને એફઆઈઆરમાં પણ તેમના નામનો ક્યાંક ઉલ્લેખ નથી. એ જગજાહેર છે કે, તંત્રની પરવાનગી વગર જ દિવાળી બાદ પુલ ખુલ્લો મુકી દેવાયો હતો. તહેવારમાં પુલની ક્ષમતા કરતા વધુ લોકોએ અવરજવર કરી હતી. આશ્ચર્યની વાત એ પણ છે કે અગાઉ સાગના લાકડાનો પુલ હતો ત્યારે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. હવે જાળી અને એલ્યુમિનિયમનો પુલ 6 મહિનામાં તૈયાર થયો હતો અને પુલની ડિઝાઈનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતો હતો. આમ, આ પુલમાં ઉચ્ચ પ્રકારના મટિરિયલના દાવા છતાં આ પુલ અનેક લોકોની જિંદગી ભરખી ગયો છે.