આવતીકાલે 23 મીએ કેન્દ્રીય કેબિનેટની એક મોટી બેઠક મળવાની છે, બેઠકમાં દેશવ્યાપી વેક્સિનેશન અંગે ભવિષ્યની રણનીતિ સહિત બીજા કેટલાક મુદ્દે ચર્ચા થશે.
23 મીએ કેન્દ્રીય કેબિનેટની મોટી બેઠક
દેશવ્યાપી વેક્સિનેશન અંગે ભાવી રણનીતિની ચર્ચા
જમ્મુ કાશ્મીર અંગે પણ ચર્ચા થવાની શક્યતા
24 મીએ જમ્મુના 14 મોટા નેતા સાથે પ્રધાનમંત્રીની બેઠક
છેલ્લા કેટલાક દિવસથી પ્રધાનમંત્રી મોદી કેબિનેટના સિનિયર મંત્રીઓ સાથે સતત બેઠકનો દોર ચલાવી રહ્યાં છે. પીએમ મોદીની થોડા સમયની સક્રિયતા જોતા લાગી રહ્યું છે કે દેશમાં કંઈક નવું થવાનું છે. થોડા મહત્વના મુદ્દે પણ ફેસલા થઈ શકે છે. 24 મીએ પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ કાશ્મીરના 14 મોટા નેતાઓની બેઠક બોલાવી છે ત્યારે હવે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી રહી છે.
જમ્મુ કાશ્મીર અંગે પણ ચર્ચા થવાની શક્યતા
બેઠકમાં યુપી ચૂંટણી સહિત જમ્મુ કાશ્મીર અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાજનાથ સહિતના મોટા નેતાઓ બેઠકમાં સામેલ થશે. આ જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. આ બેઠકમાં કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરી શકે છે. વર્ષ 2019માં કલમ 370 ને ખતમ કરવા પર ઉભી થયેલી રાજનીતિક અવરોધને સમાપ્ત કરવા માટે પીએમનું આ પહેલુ મોટું પગલું છે.
આ 14 નેતાઓને પ્રધાનમંત્રીએ 24 મી દિલ્હી બોલાવ્યા
પ્રધાનમંત્રી મોદીએ 24 મીએ જમ્મુ કાશ્મીરના ટોચના 14 નેતાઓને દિલ્હી મળવા બોલાવ્યાં છે. પ્રધાનમંત્રીએ જે 14 નેતાઓને બેઠક માટે દિલ્હી બોલાવ્યાં છે તેમાં ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ, ફારુક અબ્દુલા, તેમના પુત્ર ઉમર અબ્દુલા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ તથા પીડીપી નેતા મહેબૂબા મુફતી, પૂર્વ ઉપમુખ્યમંત્રી કોંગ્રેસ નેતા તારાચદ, પીપીપી લીડર હુસેન બેગ ભાજપ નેતા નિર્મલ સિંહ તથા કવિન્દ્ર ગુપ્તા, સીપીઆઈ નેતા મોહમ્મદ યુસુફ તારાગામી, જમ્મુ કાશ્મીર અપની પાર્ટી ચીફ અલ્તાફ બુખારી, પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન, પેન્થર્સ પાર્ટીના ભીમસિંહ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીની 24 મી યોજનારી બેઠકમાં ગુપકાર ગઠબંધનના નેતાઓએ ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. ગુપકાર ગઠબંધનમાં ફારુક અબ્દુલાની એનસી, મહેબૂબા મુફતીની પીડીપી સહિતના 6 જમ્મુ કાશ્મીરના રાજકીય પક્ષો સામેલ છે.