હવે બળતામાં ઘી હોમવાની જેમ ભારત સરકારનું વાણિજ્ય ખાતું રીજીયોનલ કોમ્પ્રિહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશીપમાં વિદેશી દબાણને કારણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનાં નેજા હેઠળ વિદેશથી આયાત થનારી ડેરીની પ્રોડક્ટ્સ પર ઝીરો ડ્યુટીનો વિચાર કરી રહ્યું છે. જેને લીધે હવે ભારતનો ડેરી ઉદ્યોગ પણ કદાચ મંદ થઇ જશે અને દસ કરોડ જેટલાં પશુપાલકો બેકારીનાં ઝપેટામાં આવી જશે તેવો સતત ભય સેવાઇ રહ્યો છે.
પશુપાલન કરીને રોજીરોટી રળતા ગુજરાતનાં 37 લાખ ખેડૂતોની આવક બંધ થવાની શક્યતા
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લીધે દેશનાં ડેરી ઉદ્યોગ હવે પાયમાલી તરફ
ઇમ્પોર્ટ નીતિથી ભયાનક પરિસ્થિતિ સર્જાશેઃ પશુપાલન નિષ્ણાંતો
વિદેશી મંદીને કારણે વિદેશી હુંડિયામણ કમાવી આપનાર હીરા ઉદ્યોગ આર્થિક ગુંગળામણ અનુભવ્યા બાદ હવે દેશનાં અન્ય ઉદ્યોગો જેવાં કે સિમેન્ટ, લોખંડ અને અન્ય કેટલાંક ઉદ્યોગો પણ મંદી અનુભવી રહ્યાં છે. જેથી મહત્વનું છે કે ગુજરાતમાં સમગ્ર ગ્રામ્યજીવન અર્થતંત્ર એ ડેરી ઉદ્યોગો પર જ નિર્ભર હોય છે અને અંદાજે 37 લાખ કુટુંબો પશુપાલન પર અવલંબે છે તેવા સમયે આવી ઇમ્પોર્ટ નીતિથી ભયાનક પરિસ્થિતિ સર્જાશે તેવું પશુપાલન નિષ્ણાંતોનું માનવું છે.
રીજીયોનલ કોમ્પ્રિહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશીપ (Regional Comprehensive Economic Partnership) હેઠળનાં 10 દેશો સાથેનાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને ભારત સરકારનું વાણિજ્ય ખાતું મંજૂરી આપીને દેશો તે દેશનાં 10 કરોડ ખેડૂતો અને ગુજરાતની અને સમગ્ર દેશની અનેક દૂધ સહકારી મંડળીઓનું અસ્તિત્વ ખતરામાં મૂકાઇ જશે.
ગુજરાતની 14000 સહકારી મંડળીઓ થકી પશુપાલન (Pastoralism) કરીને રોજીરોટી રળતા 37 લાખ ખેડૂતોની આવક બંધ થઇ શકવાની શક્યતા છે. તમને અમૂલ ડેરીની વાત કરીએ તો ગુજરાતમાં અમૂલનાં 37 લાખ જેટલાં દૂધ ઉત્પાદકોને દૂધ મંડળીઓમાં દૂધ ભરનારાઓને દરરોજનું 70થી 80 કરોડની ચૂકવણી કરવામાં આવે છે.
ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશને કેન્દ્રનાં વાણિજ્ય મંત્રાલય સમક્ષ આ મુદ્દે લેખિતમાં રજૂઆત પણ કરી હતી તેવું જાણવા મળ્યું છે. તેની પશુપાલકો અને દૂધ સહકારી મંડળીઓ પર અસર પડનારી અસરનો ચિતાર પણ આપવામાં આવ્યો છે.
મહત્વનું છે કે હવે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એ ભારતનાં મોટા મોટા ઉદ્યોગોનો વિનાશ સર્જી રહ્યાં છે. બાંગ્લાદેશ અને વિયેતનામનાં નિકાસકારો ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી નાખે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
દૂધ ઉત્પાદકોને આપવામાં આવતા ભાવમાં 50 ટકા ઘટાડો થઇ શકે
ભારત સરકાર હવે રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ હેઠળનાં એસોસિએશન ઓફ સાઉથ એશિયન નેશન્સનાં દશ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી સંકળાયેલા ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા, ન્યુઝીલેન્ડ અને ભારત સાથે કરાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. પરંતુ જો આ કરાર થશે તો ભારતનાં તમામ ડેરી ઉદ્યોગોની ઘોર ખોદાઇ જશે. આ કરાર કરવા વાણિજ્ય ખાતું પણ મક્કમ છે પરંતુ તેઓએ એવી ખાતરી આપી છે કે ભારતનાં ઉદ્યોગોને આની અસર નહીં થાય તે રીતનું આયોજન કરવામાં આવશે.
ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન સંઘનાં દેશો પણ આ કરારનો લાભ લઇને ભારતમાં દૂધ અને દૂધની બનાવટો ઠાલવવાનું શરૂ કરી દેશે. પરિણામે દૂધ ઉત્પાદકોને આપવામાં આવતા ભાવમાં 50 ટકા જેટલો ઘટાડો થઇ શકે છે. જેને લીધે ખેડૂતો એટલે કે પશુપાલકોને મોટો ફટકો પડી શકે છે.
ન્યુઝિલેન્ડ દેશ આ કરાર થતાની સાથે જ અત્યંત સસ્તા ભાવે ભારતનાં બજારમાં દૂધ અને દૂધની બનાવટો મોકલશે. તેમાંય સૌથી મહત્વની બાબત તો એ છે કે ભારત સરકાર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોવાને કારણે તેઓની પાસેથી આયાત ડ્યૂટી પણ નહીં વસૂલી શકે.
અબજોનું ઇન્વેસ્ટમેન્ટ કરીને રોકવામાં આવેલા ફંડ વેડફાવાની શક્યતા
ન્યુઝીલેન્ડમાં 35 લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન કરે છે. જેમાંથી 93 ટકા દૂધની નિકાસ કરવામાં આવી રહી છે. પરંતુ જ્યારે સસ્તા ભાવે ભારતનાં બજારમાં દૂધ અને દૂધની બનાવટો મોકલવામાં આવશે તો આગામી વર્ષોમાં દૂધ અને દૂધની બનાવટોની વધતી ડિમાન્ડને ધ્યાનમાં રાખી અબજોનું ઇન્વેસ્ટમેન્ટ કરીને રોકવામાં આવેલા ફંડ વેડફાઇ જશે.
હાલમાં સ્કીમ્ડ મિલ્ક પાવડર કિલોદીઠ રૂ.260થી 280નાં ભાવે બજારમાં સ્થાનિક ઉત્પાદકો દ્વારા વેચવામાં આવી રહ્યો છે તે વિદેશી કંપનીઓ સ્કીમ્ડ મિલ્ક પાવડર કિલોદીઠ માત્ર રૂ.130થી 140નાં જ ભાવે ભારતનાં બજારમાં મૂકશે. ભારતનાં ડેરી ઉદ્યોગ પર વિદેશી કંપનીઓની નજર હાલમાં વિશેષ રીતે જોવાં મળી રહી છે. કેમ કે સમગ્ર વિશ્વમાં ભારત એ દૂધનું ઉત્પાદન અને વપરાશ કરનારા દેશોમાં સૌથી મોટામાં મોટો દેશ કહેવાય છે.
જો ભારતનાં બજારને વિદેશી રોકાણ માટે ખુલ્લું મૂકી દેવામાં આવે તો તેની અસર હેઠળ તમામ દેશો આયાત-જકાત ભર્યા વિના ભારતનાં બજારમાં તેમનો જથ્થો તેઓ ઠાલવતા થઇ જશે. જેથી દેશનાં 10 કરોડ લોકો અને ગુજરાતનાં 37 લાખ લોકોની આવક કાં તો ઘટી જશે અથવા બંધ થઇ જશે.