કોરોનાથી બચવા માટે વેક્સિનેશન સૌથી પ્રભાવી ઉપાય માનવામાં આવે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર ભારતમાં હાલ 53.61 કરોડથી વધુ લોકોને વેક્સિનનો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે. વેક્સિનની પ્રભાવિકતાને વધારવા માટે સમય સમય પર નિયમોમાં જરૂરી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. વેક્સિનેશનને લઈને બનાવવામાં આવેલા સરકારી પેનલના આધાર પર મે મહિનામાં કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝના અંતરને 6થી 8 અઠવાડિયાથી વધારીને 12થી 16 અઠવાડિયા કરી દીધો હતો. નિષ્ણાંતોનું કહેવું હતું કે ડોઝના અંતરને વધારીને વેક્સિનના પ્રભાવમાં પણ વધારો કરી શકાય છે. જોકે હવે આ ફેરફારને લઈને સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા છે.
હાલમાં જ સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સંસ્થાપક સાઈરસ પુનાવાલા કોવિશીલ્ડ વેક્સિનના બન્ને ડોઝના અંતરને વધારવા પર પ્રશ્નો કર્યા છે. પુનાવાલાએ કહ્યું છે કે મને લાગે છે કે વેક્સિનના બે ડોઝની વચ્ચે બે મહિનાથી વધુ અંતર ન હોવું જોઈએ. જોકે સંભવતઃ કેન્દ્ર સરકારે વેક્સિનની કમીના કારણે તેને ત્રણ મહિના સુધી વધારી દીધું.
કોવિશીલ્ડના બે ડોઝમાં અંતર
મહત્વનું છે કે વેક્સિનેશનને લઈને બનાવવામાં આવેલા સરકારી પેનલ રાષ્ટ્રીય ટેક્નિકલ સલાહકાર સમુહે કોવિશીલ્ડ વેક્સિનેશનના ડોઝના અંતરને વધારીને 12-16 અઠવાડિયા કરવાનું સુચન આપ્યું હતું. જેને 13 મેના રોજ કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યું હતું. આ પહેલા કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝમાં અંતર છથી 8 અઠવાડિયાનું હતું.
આ નિર્ણયને સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પુનાવાલાએ પણ ફાયદાકારક ગણાવ્યું હતું. આ ઉપરાંત તત્કાલીન સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધને આ નિર્ણને સારો ગણાવ્યો હતો. જોકે હવે અસઆઈઆઈના સંસ્થાપક તેને ફક્ત ડોઝની કમીના કારણે લેવામાં આવેલો નિર્ણય ગણાવી રહ્યા છે.
ત્રીજા ડોઝની જરૂર
અસઆઈઆઈના સંસ્થાપક કહે છે વેક્સિનના બે ડોઝને જ કોરોના સામે લડવા માટે પુરતા ન ગણી શકાય. સામાન્ય રીતે છ મહિના બાદ શરીરમાં એન્ટી બોડી ઓછી થઈ જાય છે એવામાં ત્રાજા ડોઝની જરૂર પડી શકે છે. આ વાતને ધ્યાનમાં રાખતા હું અને કંપનીના સાતથી આઠ હજાર કર્મચારીઓએ વેક્સિનનો બુસ્ટર ડોઝ લઈ લીધો છે. જે લોકોએ વેક્સિનના બે ડોઝ લઈ લીધા છે તેમણે બૂસ્ટર ડોઝ માટે ત્રીજો ડોઝ પણ લેવો જોઈએ. સંક્રમણથી સંપૂર્ણ સુરક્ષા માટે જરૂરી માનવામાં આવી રહ્યું છે.