તૌકતે વાવાઝાડાના આગમન પહેલા કોડીનારના મૂળ દ્વારકા ગામે દરિયાના પાણી ઘૂસ્યા, દરિયા નજીકના એક મકાન પાણીમાં ધરાશાયી થયું
ગીર સોમનાથનો દરિયો રુદ્ર સ્વરૂપમાં
કોડીનારના મૂળ દ્વારકા ગામે દરિયાના પાણી ઘૂસ્યા
એક મકાન થયું પાણીમાં ધરાશાયી
ગીર સોમનાથનો દરિયો રુદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો છે. કોડીનારના મૂળ દ્વારકા ગામે દરિયાના પાણી ઘૂસી ગયા છે. આ સાથે એક મકાન પાણીમાં ધરાશાયી થયું છે. આ દરિયાના પાણી લોકોના ઘર સુધી પહોંચ્યા છે.
તૌકત વાવાઝોડા માટે અત્યારના સૌથી મોટા સમાચાર આવ્યા છે. તૌકતે વાવાઝોડું દીવથી માત્ર 75 કિલોમીટર દૂર છે. અને 15 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. સાંજે 8 વાગ્યાની આસપાસ દીવ નજીક વાવાઝોડું ટકરાશે તેવી સંભાવના છે. રાત્રે 11 વાગ્યે તીવ્ર વાવાઝોડું દરિયા કાઠે ટકરાશે. તૌકતે વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 175 કિ.મી. પ્રતિ કલાક હોવાની માહિતી છે.
સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
તૌકતેના આગમન સાથે દરિયા કિનારે 15થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળશે. દરીયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયા છે. દરિયાકાંઠા વિસ્તારોમાં 11 નંબરનું સિગ્નલ પણ લગાવાયું છે. અલંગના દરેક પોર્ટ, ભાવનગર, દહેજ, મગદલ્લામાં 11 નંબરનું સિગ્નલ લાગ્યું છે. તો દમણમાં પણ 11 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાથે વેરાવળ, જાફરાબાદ, પીપાવાવમાં 10 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. રાત્રે 8થી 10 વાગ્યાની વચ્ચે પોરબંદર અને મહુવાને હિટ થશે.
ભાવનગરના મહુવાથી પોરબંદર વચ્ચે વાવાઝોડુ લેન્ડ કરશે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ વાવાઝોડુ જમીન સાથે ટકરાશે ત્યારે 200 કિલો મીટર પ્રતિકલાકની ઝડપ હશે. દરિયામાં 2 મીટર સુધી મોજા ઉછળી શકે છે. એટલે અમરેલી, ભાવનગર, બોટાદ, વલસાડ, નવસારીમાં તૌકતે વાવાઝોડાની વધારે અસર જોવા મળશે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વાવાઝોડાની અસર દેખાશે. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડવાની આગાહી છે. આ તમામ જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તૌકતે વાવાઝોડાને તિવ્રતાને જોતા ગ્રેટ ડેન્ઝર સિગ્નલ જાહેર કરાયુ છે.
વાવાઝોડાની ગંભીરતાને જોતા રાજ્યભરમાંથી દોઢ લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. આકસ્મિક સ્થિતિમાં અસરગ્રસ્તોને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે 174 ICU ઓન-વ્હીલ તૈનાત કરાઈ. રાજ્યમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટમાં સહિતના જિલ્લાઓમાં NDRFની 44 ટીમો બચાવકાર્ય માટે તૈયાર છે. આ ઉપરાંત દીવમાં પણ NDRFની 2 ટીમો બચાવ કાર્યમાં જોડાશે. અમદાવાદના તમામ ફાયરમેનની રજા રદ કરી દેવામાં આવી છે. અને હાલ 4 ટીમ સ્ટેન્ડ બાય રાખી છે. તૌકતે વાવાઝોડાને લઇ PGVCLનું તંત્ર પણ અલર્ટ મોડ પર છે. જ્યારે વાવાઝોડુ ટકરાશે ત્યારે પાવર સપ્લાય સલામતીના ભાગ રૂપે બંધ કરી દેવામાં આવશે. વડોદરાની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશને 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કર્યું. આ સાથે જ કોવિડ હોસ્પિટલોમાં વીજળી માટે બેક અપ પ્લાન તૈયાર કર્યો છે.. ભરૂચના દરિયાઈ વિસ્તારમાં 6 જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઇ. તો પોરબંદરમાં 2 હજારથી વધુ બોટ પાર્ક કરાઇ છે.