ગુજરાત પર નિસર્ગ વાવાઝોડાંના ખતરાને લઇને તંત્ર દ્વારા NDRF ની કુલ 14 ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં વાવાઝોડું વલસાડથી 535 કિમી અને સુરતથી 588 કિમી દૂર છે. હાલ વાવાઝોડું ગોવાના પણજી નજીકથી પસાર થઈ રહ્યું છે. તંત્ર દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. વહીવટી તંત્રએ સંભવિત વાવાઝોડાના પગલે ગામ લોકોને અલર્ટ કરી દીધા છે.
નિસર્ગ વાવાઝોડાને લઇ NDRFની 14 ટીમ કરાઇ તૈનાત
અન્ય રાજ્યમાંથી 5 ટીમ મંગાવાની તૈયારીઓ શરૂ કરાઇ
દિલ્લી અને પંજાબથી NDRFની ટીમ એરલીફ્ટ કરાશે
ગુજરાતમાં સંભવિત નિસર્ગ વાવાઝોડાને લઇ NDRFની 14 ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે અન્ય રાજ્યમાંથી 5 ટીમ મંગાવાની તૈયારીઓ શરૂ કરાઇ છે. દક્ષિણ ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝની સલામતી માટે પણ ટીમ તૈનાત કરાશે. દિલ્લી અને પંજાબથી NDRFની ટીમ એરલીફ્ટ કરાશે.
જ્યારે વલસાડ, દમણ અને સેલવાસમાં બે-બે ટીમ તૈનાત કરાઈ છે. તો બીજી તરફ નવસારી, સુરત, ભરૂચ, આણંદ, ખેડામાં એક-એક ટીમ તૈનાત કરાઇ છે. જ્યારે ભાવનગર, જાફરાબાદ, વેરાવળમાં એક-એક ટીમ તૈનાત કરાઇ છે.
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 159 ગામો એલર્ટ કરાયાં
ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. સંભવિત નિસર્ગ વાવાઝોડાની આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના 159 ગામોને અલર્ટ કરી દેવાયા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાના 109 ગામ પ્રભાવિત થશે. સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના 50 ગામો પ્રભાવિત થઇ શકે છે.
વાવાઝોડાની લો લાઇન એરિયામાં આવતા 159 ગામનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેતે જિલ્લાના કલેકટરને જવાબદારી સોંપવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જે ડીપ વાવાઝોડું બનશે અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે.
ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરો
ગુજરાતના દરિયા કિનારે 3 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. વાવાઝોડાને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. 3 જૂને નવસારી, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, રાજકોટમાં વરસાદ થઈ શકે છે. 4 જૂને સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત અને ભરૂચમાં વરસાદ થઈ શકે છે. જ્યારે 5 જૂને ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.