આઇપીએલ-૨૦૨૦ની સિઝન ચેન્નઈ સુપર કિંગ્સ માટે બહુ જ નિરાશાજનક રહી છે. અત્યાર સુધી ટીમે ૧૦ મેચ રમીને માત્ર ત્રણ જીત મેળવી છે.
આઇપીએલ-૨૦૨૦ની સિઝન ચેન્નઈ સુપર કિંગ્સ માટે બહુ જ નિરાશાજનક રહી છે. અત્યાર સુધી ટીમે ૧૦ મેચ રમીને માત્ર ત્રણ જીત મેળવી છે અને તે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પહેલી વાર પ્લેઓફમાં રમ્યા વિના બહાર ફેંકાઈ જશે. આજે સાંજે મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાનારી મેચ એ નક્કી કરશે કે ચેન્નઈ ટૂર્નામેન્ટમાં રહેશે કે બહાર ફેંકાશે. વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને ટૂર્નામેન્ટની શરૂઆત કરનારી ચેન્નઈ સામે હવે પ્લેઓફની રેસમાં બની રહેવા માટે પોતાની ચારેય મેચ જીતવી પડે તેમ છે. ત્યાર બાદ પણ ચેન્નઈએ અન્ય ટીમોનો પરાજય થાય તેવી પ્રાર્થના કરવી પડશે.
પ્લેઓફની રેસમાં રહેવું હોય તો આજે મુંબઈ ઇન્ડિયન્સની ટીમને હરાવવી પડશે
ચેન્નઈની ટીમે જો પ્લેઓફની રેસમાં રહેવું હોય તો આજે મુંબઈ ઇન્ડિયન્સની ટીમને કોઈ પણ સંજોગોમાં હરાવવી પડશે. એ પણ સંયોગની જ વાત છે કે ચેન્નઈને પ્રથમ જીત જે ટીમ સામે મળી હતી તેની જ વિરુદ્ધ હાર મળશે તો આઇપીએલમાં સીએસકેની સફર ખતમ થઈ જશે. આજની હાર બાદ ચેન્નઈ પાસે ત્રણ મેચ બચશે અને તેના ખાતામાં છ પોઇન્ટ જ હશે. આનો અર્થ એ થાય કે બાકીની ત્રણેય મેચ જીત્યા બાદ પણ ચેન્નઈ પ્લેઓફમાં પહોંચી નહીં શકે.
પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં ત્રણ ટીમનાં નામ લગભગ નક્કી
આઇપીએલની ૧૩મી સિઝન અડધા ઉપરાંતની પૂરી થઈ ગઈ છે. આ વર્ષે પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં ત્રણ ટીમનાં નામ લગભગ નક્કી છે. બાકીના એક સ્થાન માટે પાંચ ટીમ વચ્ચે ટક્કર જામી છે. પ્લેઓફમાં પ્રથમ અને બીજા સ્થાન પર કઈ ટીમ રહેશે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. અત્યાર સુધી રમાયેલી મેચ પર નજર નાખવામાં આવે તો જાણવા મળશે કે ત્રણ ટીમે બાકીની અન્ય ટીમની સરખામણીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ ટોચના ત્રણ સ્થાન પર છે અને તેમનું પ્લેઓફમાં રમવું લગભગ નક્કી જ છે.
પોઇન્ટ ટેબલ પર અંતિમ સ્થાન પર માત્ર છ પોઇન્ટ મેળવનારી ચેન્નઈની ટીમ
પોઇન્ટ ટેબલ પર નજર કરવામાં આવે તો દિલ્હીની ટીમ ૧૦માંથી સાત મેચ જીતી છે અને તેમની પાસે ૧૪ પોઇન્ટ છે. આટલા પોઇન્ટ દિલ્હીની ટીમને પ્લેઓફમાં સ્થાન અપાવવા માટે પૂરતા છે. વધુ એક જીતથી પ્લેઓફમાં દિલ્હીનું સ્થાન પાકું થઈ જશે. આરસીબી પણ ૧૪ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. ત્રીજા નંબર પર મુંબઈ પાસે હાલ ૧૨ પોઇન્ટ છે. આજે ચેન્નઈ સામે મુંબઈ જીતશે તો તેના ૧૪ પોઇન્ટ થઈ જશે. ૧૦ મેચમાં પાંચ જીત અને ૧૦ પોઇન્ટ સાથે કેકેઆરની ટીમ ચોથા સ્થાને છે. ગઈ કાલે રાજસ્થાન રોયલ્સને હરાવીને સનરાઇઝર્સ હૈદરાબાદે ચોથી જીત મેળવી. હાલ આઠ પોઇન્ટ સાથે એસઆરએચ પાંચમા સ્થાને છે. દસ મેચમાં ચાર જીત અને આઠ પોઇન્ટ સાથે પંજાબની ટીમ છઠ્ઠા સ્થાને, ૧૧ મેચમાં ચાર જીત અને આઠ પોઇન્ટ સાથે રાજસ્થાનની ટીમ સાતમા સ્થાને છે. જ્યારે અંતિમ સ્થાન પર માત્ર છ પોઇન્ટ મેળવનારી ચેન્નઈની ટીમ છે.