રાજ્યભરમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા કેટલાક દિવસથી મેધરાજા મનમૂકીને વરસી રહ્યા છે. તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ડેમમાં 1 લાખ 20 હજાર 968 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક થતા ડેમની સપાટી 135.04 મીટરે પહોંચી છે.
પાણીની આવક થતા ડેમના 10 દરવાજામાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. હાલમાં 10 દરવાજા ખોલીને 59 હજાર 698 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. 1 લાખ 10 હજાર ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે.
હાલમાં ડેમમાં 4822 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. પાણીની આવક થતા ડેમના RBPHના તમામ પાવર હાઉસ કાર્યરત થયા છે. જ્યારે CHPHના 3 પાવર હાઉસ પણ ચાલુ કરવામાં આવ્યા છે.
જ્યારે સૌરાષ્ટ્રના લોકો માટે ખુશીના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદથી એક જ રાતમાં સૌરાષ્ટ્રના 26 ડેમ છલકાઇ ગયા છે. જેના કારણે જળસંકટ દૂર થઇ ગયું છે. રાજકોટમાં 8 ઇંચ વરસાદથી આજી ડેમ ઓવરફ્લો થયો છે. આજી ડેમ ઓવરફ્લો થતા મેયર અને સીએમના પત્નીએ નીરના વધામણા કર્યા હતા. તો મોરબી જિલ્લામાં સારા વરસાદથી મચ્છુ-1, મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમ છલકાઇ ગયા છે.
આ ઉપરાંત ખંભાળિયા-જામનગરના તમામ જળાશયો છલકાઇ ગયા છે. ભાવનગરના પાલિતાણામાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે જામનગરના મોટી બાણુંગારમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે ડેમોમાં નવા નીર આવ્યા છે.