ગ્લોબલ રેટિંગ કંપની ક્રિસિલે ચાલુ નાણાકીય વર્ષમાં દેશના જીડીપી ગ્રોથના અનુમાનને ૦.૨૦ ટકા ઘટાડીને ૬.૯ ટકા કર્યું છે. નબળું ચોમાસું, સુસ્ત ગ્લોબલ ગ્રોથ અને કંપનીઓના નબળાં પરિણામો જેવાં પરિબળોને જોઇને ક્રિસિલે જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડ્યું છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જૂનમાં ૨૦૧૯-૨૦ માટે જીડીપી ગ્રોથનું અનુમાન ૭.૨ ટકાથી ઘટાડીને ૭ ટકા કરી દીધું હતું. ઘરેલુ પ્રવૃત્તિઓમાં નિષ્ક્રિયતા અને વર્લ્ડ ટ્રેડ વોરને જોઇને બેન્કે આ પગલું ભર્યું હતું.
ક્રિસિલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન સુસ્તી જોવા મળશે. ક્રિસિલે અપહિલ ટ્રેક નામના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં સ્થિતિમાં સુધારો થઇ શકે છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ભારતીય અર્થતંત્ર દેશ-દુનિયામાં થતી ઘટનાઓથી પ્રભાવિત થશે. આ સંજોગોમાં દેશનો જીડીપી ગ્રોથ અગાઉના અનુમાનથી ૦.૨૦ ટકા ઘટાડીને ૬.૯ ટકા રહેવાનું અનુમાન છે.
રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે કે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતીય અર્થતંત્રએ ૮.૨ ટકાનો જીડીપી ગ્રોથ હાંસલ કર્યો હતો. ત્યાર બાદ નવી નીતિગત પહેલ, સુધારાને આગળ ધપાવવા અને વ્યાપાર વિવાદ સહિત વૈશ્વિક સ્તરે વધતી જતી અનિશ્ચિતતાની અસર જોવા મળી રહી છે. રિફાઇનરી પ્રોડક્ટ સહિત દેશના કેટલાક કોર સેક્ટરમાં પણ સુસ્તી જોવા મળી રહી છે.