જમ્મુથી ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી મેળવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કિરણ પટેલને લઈ આજે અમદાવાદ પહોંચશે, પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો બચાવી પાડવાનો પ્રયાસ કરતા નોંધાઈ છે ફરિયાદ.
મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ ફરિયાદ મામલો
ક્રાઇમ બ્રાન્ચની ટીમ કિરણ પટેલને આજે લાવશે અમદાવાદ
કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ નોંધાઇ હતી ફરિયાદ
મહાઠગ કિરણ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, જમ્મુથી ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી મેળવ્યા બાદ હવે ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજે કિરણ પટેલને લઈને અમદાવાદ પહોંચશે. વિગતો મુજબ અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ પર સ્થિત ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે શ્રીનગરથી મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી મેળવી છે. આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કિરણ પટેલને લઈને અમદાવાદ પહોંચશે. કિરણ પટેલની પત્ની માલિની પણ ધરપકડ થઈ ચૂકી છે. મહત્વનું છે કે, મહાઠગ કિરણ પટેલે સિંધુ ભવન રોડ પર આવેલા જગદીશ ચાવડાના બંગલાને રિનોવેશન કરવાના બહાને પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે કિરણ પટેલ અને પત્ની માલિની વિરૂદ્વ ગુનો નોધાયો હતો.
ધરપકડ બાદ થઈ રહ્યા છે નવા નવા ઘટસ્ફોટ
મહાઠગ કિરણ પટેલે અનેક લોકોને ચૂનો ચોપડ્યો છે. તેની ધરપકડ બાદ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તેણે સામાન્ય લોકોથી લઈને અનેક ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો સાથે ઠગાઈ કરી છે. તેની ધરપકડ બાદ અમદાવાદમાં તેની સામે ફરિયાદ નોંધાઈ છે. જે મામલે હવે તેને અમદાવાદ લાવવામાં આવશે. તેની જુદા-જુદા ગુના હેઠળ પૂછપરછ કરાશે.
પૂર્વ મંત્રીના ભાઈએ નોંધાવી છે ફરિયાદ
ગુજરાત સરકારના પૂર્વ મંત્રીના ભાઈના બંગલાને પચાવી પાડવાના ષડયંત્ર મામલે પણ મહાઠગ કિરણ પટેલની પૂછપરછ કરાશે. PMOમાં નોકરી કરું છું અને મારી બહુ મોટી ઓળખાણ છે આવું કહી છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલે પૂર્વ મંત્રીના ભાઈને પણ નથી મૂક્યા. પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલી નીલકંઠ ગ્રીન સોસાયટીના બંગલા પર કિરણ પટેલે નજર બગાડી હતી. મોટી-મોટી ઓળખાણો આપીને અને મીઠી મીઠી વાતો કરીને જગદીશ ચાવડાનો બંગલો ઝડપી લેવા માટે ષડયંત્ર રચ્યું હતું. જગદીશ ચાવડાના બંગલાના રિનોવેશનના નામે કિરણ પટેલે પોતાનો દાવો મુક્યો હતો. વાસ્તુ કરાવી કિરણ પટેલે બંગલો પચાવવાનો પ્રયાસ કર્યો હતો. જગદીશ ચાવડાના બંગલામાં કિરણ પટેલે પોતાનું બોર્ડ પણ લગાવી દીધું હતું. એટલું જ નહીં બાદમાં કિરણ પટેલ સિવિલ કોર્ટમાં ખોટો કેસ પણ દાખલ કર્યો હતો.
જગદીશ ચાવડાએ કર્યો હતો ખુલાસો
આ મામલે vtvgujarati.com દ્વારા જગદીશ ચાવડાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ટેલિફોનિક વાતચીતમાં જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે, 'એ ભાઈ મારી પાસે આવ્યા હતાં અને કહ્યું હતું કે તમારો બંગલો હું વેચાવી આપીશ. પરંતુ આ માટે તમારે બંગલામાં થોડું રીનોવેશન કરાવવું પડશે. તેણે એવું પણ કહ્યું હતું કે હું ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું પણ કામ જાણું છું તો એ પણ કરી આપીશ.'
મારા બંગલાનું વાસ્તુ પણ કરી નાખ્યુંઃ જગદીશ ચાવડા
જગદીશ ચાવડાએ જણાવ્યું કે, તેણે મને એક પણ રૂપિયો આપ્યો નથી કે કોઈ કાગળમાં મેં સાઇન કરી નથી, પરંતુ મૌખિક વાતચીતના આધારે 90 દિવસ હું મારા મિત્રને ત્યાં રહેવા જતો રહ્યો અને કિરણે બંગલાનું કામ શરૂ કર્યું હતું. મારે કામ હોવાથી હું એક અઠવાડિયા સુધી બંગલે જઈ ન શક્યો તો મને જાણ થઈ કે મારા બંગલાનું વાસ્તુ પણ કિરણે કરી નાખ્યું છે અને ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પણ કરી નાખી છે.
મેં કોઈ કાગળ પર સહીં કરી નથીઃ ચાવડા
તેમણે જણાવ્યું હતું કે, હવે તેનો ઉદ્દેશ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરીને મારી પાસે પૈસા પડાવવાનો પણ હોઈ શકે, અમારા બંને વચ્ચે કોઈ પૈસા બાબતે ડીલ થઈ નથી કે નથી કોઈ પત્ર વ્યવહાર કે કાગળમાં સહી થઈ નથી. હાલ પણ હું એ જ બંગલામાં રહું છું અને મને જાણ થઈ કે મારા બંગલાનું વાસ્તુ થઈ ગયું છે એટલે હું બંગલે આવી પહોંચ્યો હતો અને કિરણ પટેલનો કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વાત એક વર્ષ પહેલાંની છે, પરંતુ કિરણ પટેલનો કોઈ કોન્ટેક્ટ થઈ શક્યો નહીં. જ્યારે વર્તમાન સમયમાં આખો કાંડ બહાર આવ્યો, ત્યારે મેં મારો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો તેવી છેતરપિંડીની એક ફરિયાદ દાખલ કરી છે.
અનેક લોકોને છેતરી ચૂક્યો છે મહાઠગ
આપને જણાવી દઈએ કે, કિરણ પટેલ અત્યાર સુધીમાં ઘણાં લોકોને ચૂનો ચોપડી ચૂક્યો છે. તેની વિરુદ્ધ વડોદરામાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. કિરણ પટેલે વડોદરામાં 2018માં ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં તેણે અમદાવાદના ડેકોરેશનના ધંધાર્થીઓને ચૂનો ચોપડ્યો હતો. કિરણ પટેલે જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરર્સ સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. જેથી કિરણ પટેલ વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.