અરવલ્લીમાં કોરોનાથી મોત થયેલા લોકોની ખાસ કોવિડ ગાઈડલાઈનથી અંતિમ વિધી કરવામાં આવી છે પણ સરકારી ચોપડે શૂન્ય નોંધાયો છે.
અરવલ્લી જિલ્લામાં કોરોનાથી ત્રણ દર્દીના મૃત્યુ
મોડાસા સ્મશાનગૃહમાં PPE કીટ સાથે અંતિમ સંસ્કાર કરાયા
સ્મશાનગૃહમાં અંતિમક્રિયા માટે પણ જોવી પડી રહી છે રાહ
અરવલ્લી જિલ્લામાં કોરોનાથી ત્રણ દર્દીના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યુ છે. મોડાસા સ્મશાનગૃહમાં PPE કીટ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પણ સ્મશાનગૃહમાં અંતિમક્રિયા માટે પણ આ લોકોને ખાસ્સી રાહ જોવી પડી રહી છે ત્યારે સરકારી ચોપડે તો સબ સલામતના દાવા વચ્ચે એકપણ મોત નોઁધવામાં આવ્યુ નથી. આવે સમયે પ્રશ્ન થાય કે શું આવી રહેલા કેસ કરતા પણ કેસની સંખ્યામાં વધારો થયો છે. હજુ કેટલા કેસ વધશે અને સરકાર સાચી પરિસ્થિતિ કેમ છુપાવી રહી છે.
સળગતા સવાલ
કોરોનાથી મૃત્યુના આંકડા છૂપાવવામાં આવે છે?
અરવલ્લીમાં કોરોનાના સંક્રમણની સાચી હકીકત શું છે?
સ્મશાનગૃહમાં કોવિડ પ્રોટોકોલ અંતર્ગત અગ્નિસંસ્કાર કરાયા તેને શું સમજવું?
અરવલ્લીમાં સરકારી ચોપડે કોરોનાથી એકપણ મૃત્યુ નહીં તે શું સૂચવે છે?
અંતિમ સંસ્કારના દ્રશ્યો ઉપર પણ આરોગ્ય વિભાગ વિશ્વાસ નહીં કરે?
આંકડા છૂપાવીને કોને સારુ લગાડવા માંગો છો?
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આંકડા છૂપાવવામાં આવી રહ્યાં છે?
શું હકીકતમાં કોરોનાથી મૃત્યુઆંક વધારે છે?
સરકારી ચોપડે કોરોના મૃત્યુઆંક સાચો દર્શાવાતો નથી?
મોતના આંકડા છૂપાવી તંત્ર શું સાબિત કરવા માગે છે?
તંત્રને મૃત્યુઆંક છૂપાવવાથી શું મળવાનું છે?
ગુજરાતમાં કોરોના બેકાબૂ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3280 કેસ નોંધાયા છે અને 2167 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,02,932 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 17 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
અત્યાર સુધીમાં 4598 લોકોના થયાં મોત
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4598 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 171 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 17348 પર પહોંચ્યો છે.
એક સમયે આખા ગુજરાતમાં નહોતા આવતા એટલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમાં
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 798 કેસ અને ગ્રામ્યમાં 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 615 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 196 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 218 કેસ, જ્યારે ગ્રામ્યમાં 124 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 321 કેસ અને ગ્રામ્યમાં 64 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...