રામાનંદ સાગર દ્વારા નિર્મિત રામાયણ દુનિયાની સૌથી વધુ જોવાયેલી ટેલિવિઝન સિરિયલ છે. ભારતમાં આજે પણ આ સિરિયલનો ક્રેઝ છે. એમાં પણ ખાસ કરીને લોકડાઉન સમયે સરકારે રામાયણને પુન પ્રસારીત કરી છે. ત્યારે રામાયણ સિરિયલમાં રાવણનો વધ થતાં ગુજરાતના એક ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.
સિરિયલમાં રાવણ વધ
એક ગામમાં શોકનો માહોલ
રાવણ વધથી દુ:ખી ગ્રામજનો
રામાનંદ સાગર દ્વારા નિર્મિત રામાયણ વિશ્વની સૌથી જોવાયેલી ધારાવાહીક છે. આ ધારાવાહિક ભારતના ઘરેઘરમાં જોવાઈ છે. રામાયણના પાત્ર એટલા રિયાલિસ્ટિક લાગે છે કે આજે પણ સિરિયલ જોયા બાદ લોકો પાત્રોને જ સાચા અવતાર સમજી લે છે. ઘણા કિસ્સાઓમાં તો આ પાત્રોને ભગવાન સમજીને પુજાતા હોવાનું પણ સામે આવ્યું છે.
સરકારે રામાયણનું પુન:પ્રસારણ કરાવ્યું
હાલ દેશમાં લોકડાઉન હોવાને કારણે સરકારે રામાયણનું પુન:પ્રસારણ કરાવ્યું છે. તેને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રામાયણ તેના અંતિમ તબક્કામાં છે. રાવણનો પણ વધ થઈ ચુક્યો છે. ત્યારે ગુજરાતનું એક ગામ એવું છે જ્યા રાવણ વધને કારણે શોકનો માહોલ છે.
લંકેશનો વધ થતા ગામ બન્યું શોક મગ્ન
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાનું કુકડિયા ગામને રામાયણ સિરિયલ સાથે સીધો સંબંધ છે. કારણ કે, રામાયણમાં સૌથી યાદગાર એવું રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી પણ આ જ ગામના વતની છે. એટલે દેશભરમાં રાવણના વધને અસત્ય સામે સત્યની જીત તરીકે જોવામાં આવે છે અને ઉલ્લાસની લાગણી છે. તો આ ગામમાં લંકેશ વધને અરવિંદ ત્રિવેદી સાથે જોડવામાં આવ્યો છે અને લોકો ગમગીન છે. કારણ કે, પોતાના ગામના લાડીલા લંકેશનો વધ થયો છે..
અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું હતું લંકેશનું પાત્ર
રામાયણમાં લંકેશ બનેલા અરવિંદ ત્રિવેદીનું વતન કુકડીયા ગામ તેમના કારણે દેશભરમાં પ્રખ્યાત થયું છે. રામાયણ સિરિયલને કારણે જ આ ગામને લંકેશના ગામની ઓળખ પણ મળી છે. અરવિંદ ત્રિવેદીએ પોતાના ગામના વિકાસમાં મોટો ફાળો પણ આપ્યો છે. એટલે જ ગ્રામજનો તેમના પર ગર્વ કરી રહ્યા છે.