ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે ચિંતા વધારી છે. ત્યારે આજરોજ રાજકોટની કોર્ટમાં જજ સહિત અનેક કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.
રાજકોટમાં કોરોનાનો કહેર
રાજકોટ કોર્ટના જજ સહિત 10 કર્મી કોરોના સંક્રમિત
રાજકોટની ત્રણ કોર્ટ કરાઇ બંધ
જજ સહિત 10 કર્મચારી બન્યા કોરોનાનો શિકાર
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, રાજકોટમાં ફરી કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. રાજકોટની સિવિલ અદાલત અને નેગોશીએબલ કોર્ટના જજ સહિત 9 કર્મી પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ બાર એસો.ના પ્રમુખ દ્વારા કોર્ટ બંધ કરવાની રજૂઆત કરવામાં આવતા રાજકોટની ત્રણેય કોર્ટ બંધ કરવામાં આવી છે.
થોડા સમય પહેલા જ ફિઝીકલી શરૂ થયું છે કોર્ટનું કામકાજ
કોરોનાને કારણે લાદવામાં આવેલ લોકડાઉન બાદ ગણતરીના દિવસો પહેલા જ કોર્ટનું ફિઝીકલી કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. તેવામાં રાજકોટ કોર્ટના ન્યાયાધીશ અને કર્મચારીઓ પોઝિટિવ આવતા કોર્ટ ફરી બંધ કરવી પડી હતી.
ગુજરાતમાં સોમવારે સૌથી વધુ 1730 કેસ
સોમવારે અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક કેસ નોંધાતા ચિંતા વધી હતી ત્યારે ગત 24 કલાકમાં કોરોનાના 1730 કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં 1255 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,77,603 કોરોના મુક્ત થયાં છે. તો 4 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4458 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાનો હાહાકાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં રાજ્યના સૌથી વધુ 476 કેસ અને ગ્રામ્યમાં 101 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 502 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 7 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 142 કેસ, જ્યારે ગ્રામ્યમાં 23 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 117 કેસ અને ગ્રામ્યમાં 23 કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રથી આવતા લોકો પર તંત્રની ચાંપતી નજર
રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે મહારાષ્ટ્રથી આવતા લોકોએ RT-PCR ટેસ્ટ બાદ જ ગુજરાતમાં એન્ટ્રી અપાશે. એરપોર્ટ પર પેસેન્જરો માટે કોરોના ટેસ્ટ માટે વ્યવસ્થા કરાઇ છે. કોરોના રિપોર્ટ આવ્યા બાદ જ એરપોર્ટ બહાર જવા દેવાશે. જો કોઇનો રિપોર્ટ પોઝિટિવ આવશે. તો તેમને એન્ટ્રી નહીં અપાય અને તેમને ક્વોરોન્ટાઇન કરી દેવાશે.
કોરોના વાયરસ કેસ અપડેટ :
કોરોના વાયરસની નવી લહેર વચ્ચે ભારતમાં મોતનો આંકડો વધી રહ્યો છે. બુધવારે જે આંકડા સામે આવ્યા છે તેમાં એક જ દિવસમાં ભારતમાં 275 લોકોના મોત થયા છે. આ આંકડો આ વર્ષનો મોતનો સૌથી મોટો આંકડો છે. આજે નવા કેસની વાત કરીએ તો એક દિવસમાં ભારતમાં 47,262 કેસ સામે આવ્યા છે.
ભારતમાં વધતું જતું કોરોનાનું સંક્રમણ, દૈનિક કેસમાં ફરી વધારો
એક દિવસમાં દેશમાં કોરોનાના 47 હજાર 239 નવા કેસ આવ્યા છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી 23 હજાર 913 દર્દી રિકવર થયા છે તો સાથે જ એક દિવસમાં દેશમાં કોરોનાથી 277 લોકોના મૃત્યુ પામ્યા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 3 લાખ 65 હજાર 369 થયા છે અને કોરોનાના કુલ કેસ 1 કરોડ 17 લાખ 33 હજાર 594 પહોંચ્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 12 લાખ 3 હજાર 16 થઈ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 60 હજાર 477 થયો છે. લાંબા સમય બાદ એક દિવસનો મૃત્યુઆંક પણ વધ્યો હોવાનું જોવા મળ્યું છે.