મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં હવે કોરોનાના કેસ ઘટ્યા હોવાનો દાવો કરાઇ રહ્યો છે. આ માટે ગત તા.૧ જુલાઇથી શહેરમાં નોંધાતા કોરોનાના કેસની સંખ્યાને આગળ ધરે છે. અલબત્ત, આ આંકડાને જોતાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાનું જરૂર કહી શકાય તો પછી તંત્ર દ્વારા દરરોજ નવા નવા માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાની જાહેરાત કેમ થઇ રહી છે તેવો પ્રશ્ન પણ નાગરિકોને થાય છે. બીજા અર્થમાં મ્યુનિ. ચોપડે નોંધાતા કોરોનાના કેસની સંખ્યાના મામલે લોકોમાં અનેક તર્ક-વિતર્ક ઊઠી રહ્યા છે.
શહેરમાં હવે કોરોનાના કેસ ઘટ્યા હોવાનું તંત્ર કરી રહ્યું છે દાવો
તંત્રએ જાહેર કરેલા આંકડા જોઇને અમદાવાદીઓ થયાં ચકિત
ગઇ કાલે તંત્ર દ્વારા શહેરના વધુ આઠ એરિયાને માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરાતાં હવે અમદાવાદમાં કુલ ૧પ૬ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા અમલમાં છે એટલે કે જ્યાં ગત તા.1 જુલાઇએ માંડ 40 એરિયા હતા તેમાં હવે 116 એરિયાનો વધારો થયો છે.
અમદાવાદીઓ પણ થયાં ચકિત
સત્તાવાળાઓ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે હવે દરરોજ સાંજે માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનની સમીક્ષા કરે છે, તેમાં પણ આશ્ચર્યની બાબત એ છે કે અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા હોવાના દાવા વચ્ચે રોજેરોજ નવા એરિયા ઘટવાના બદલે વધી રહ્યા છે, જેના કારણે પણ અમદાવાદીઓ ચકિત થઇ રહ્યા છે.
શું કહે છે અમદાવાદના છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કેસ
ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદમાં 165 કેસ નોંધાયા છે. તો શહેરમાં ગઇ કાલે વધુ 153 કેસ નોંધાયા હતા. ત્યારે હવે કોરોનાના કુલ કેસનો આંકડો 22,745 થયો છે, જોકે અગાઉ મે અને જૂનમાં જે પ્રકારે શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થતો હતો અને દરરોજ 325 સરેરાશ કેસ નોંધાતા હતા તેવું હવે થતું નથી. આના બદલે જુલાઇના છેલ્લા નવ દિવસમાં કોરોનાના કુલ 1580થી વધુ કેસ નોંધાય છે. ગત તા.1 જુલાઇએ 208, 2 જુલાઇએ 202, 3 જુલાઇએ 195, 4 જુલાઇએ 172, 5 જુલાઇએ 162, 6 જુલાઇએ 168, 7 જુલાઇએ 172, 8 જુલાઇએ 149 અને ગઇ કાલે તા.૯ જુલાઇએ ફકત 153 કેસ મ્યુનિ. ચોપડે નોંધાયા હતા.
તંત્રના સત્તાવાર આંકડા સામે લોકોના મનમાં ઉઠ્યા સવાલ
બીજી તરફ ગત તા.1 જુલાઇથી 74 અર્બન હેલ્થ સેન્ટરમાં એન્ટીજન રેપિડ ટેસ્ટ કરાઇ રહ્યા છે. ગત તા.4 જુલાઇથી ધનવંતિર રથમાં પણ એન્ટીજન રેપિડ ટેસ્ટ થાય છે. ગત તા.7 જુલાઇથી સુપર સ્પ્રેડર્સના પણ એન્ટીજન રેપિડ ટેસ્ટ થઇ રહ્યા છે. તંત્રની ટીમ સોસાયટી અને ફલેટ વિસ્તારમાં ફરીને આ ટેસ્ટ લઇ રહી છે. રોજના 10,000 જેટલા ટેસ્ટ લઇને કોરોના પોઝિટિવ કેસ શોધવાની કવાયત થાય છે તો શું આટલી મોટી સંખ્યામાં ટેસ્ટિંગ બાદ પાંચથી દસ ટકા કેસ પણ પોઝિટિવ નહીં મળતા હોય? તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. જો તેટલા કેસ નીકળે છે તો નવા 500થી 1000 કેસ નોંધાવા જોઇએ તેમ કેમ થતું નથી? ગત તા.૮ જુલાઇએ તો મ્યુનિ. યાદીમાં પૂરા 150 કેસ પણ કેમ ન હતા? એટલે શું તંત્ર ઇરાદાપૂર્વક કેસની સંખ્યા છુપાવી રહ્યું છે? અત્યારે તો નાગરિકોના મનમાં તંત્રના સત્તાવાર આંકડા સામે અનેક પ્રશ્ન ઊઠી રહ્યા હોવા છતાં તેનું સંતોષકારક સમાધાન મળતું નથી.