ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનને લઇને આજે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અમદાવાદ કમિશનર કચેરી ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા. આ બેઠક બાદ પ્રદિપસિંહ જાડેજા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હોટસ્પોટ વિસ્તારોની મુલાકાત લીધી હતી.
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અમદાવાદ કમિશનર કચેરીમાં બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં DGP શિવાનંદ ઝા, પોલીસ કમિશનર આશિષ ભાટીયા, AMC કમિશનર વિજય નેહરા ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહે અધિકારીઓ પાસેથી શહેરની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. આ બેઠક બાદ પ્રદીપસિંહ જાડેજા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હોટસ્પોટ વિસ્તારોની મુલાકાત લીધી હતી.
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું બેઠક બાદ નિવેદન
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે પીએમએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સુચન કર્યું છે. આ લોકડાઉન વચ્ચે આરોગ્ય કર્મીઓ અને પોલીસ સતત કાર્યરત છે. પોલીસ વડાથી લઈને કોન્સ્ટેબલ પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવી રહ્યાં છે. પોલીસકર્મીઓ દિવસ-રાત લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવાય છે. પ્રદિપસિંહે જણાવ્યું કે અમદાવાદમાં હોટસ્પોટ અને બફરસ્પોટ જાહેર કર્યા, પોલીસ વિભાગ સોશિયલ ડિસ્ટન્ટન્સ માટે કામ કરે છે.
રાજ્યમાં પોલીસ અને આરોગ્યકર્મીઓ સાથે ઘર્ષણનો મામલો
ગુજરાતમાં પોલીસ અને આરોગ્યકર્મીઓ સાથેના ઘર્ષણ મામલે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે કે કેટલાક લોકો પોલીસ, આરોગ્યકર્મીઓ સાથે સંઘર્ષ કરે છે, આવા લોકો સામે પાસ સુધીની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ, આરોગ્યકર્મી સાથે ગેરવર્તન નહી ચલાવાય.
ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે PM મોદીએ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. જેમાં મોટાભાગના મુખ્યમંત્રીઓ લોકડાઉન વધારવાના સમર્થનમાં છે. કેન્દ્રના પરામર્શ દ્વારા લોકડાઉન અંગે નિર્ણય કરાશે. લોકડાઉન અંગે બુધવારે જાહેરાત કરવામાં આવશે.