કોરોનાના કહેર વચ્ચે દેશ માટે સારા સમાચાર મળી રહ્યા છે. આપણા દેશ માટે જીવાદોરી સમાન નૈઋત્યના ચોમાસાએ કેરળના દરિયાકાંઠે ટકોરા મારી દીધા છે. આનંદ એ વાતનો છે કે આ વર્ષે ચોમાસું 96 ટકા કરતા વધારે વરસાદ લાવવાનું છે. કોરોનાથી પડી ભાંગેલા દેશના અર્થતંત્રને ચોમાસાથી કેવી રીતે મળશે પુનર્જિવન જોઈએ આ અહેવાલમાં.
કેરળમાં ચોમાસાનું થયું આગમન
તપ્ત અર્થતંત્રને મળશે ટાઢક
ગ્રામીણભારતની વધશે ખરીદશક્તિ
દેશમાં કોરોનાના યથાવત રહેલા પ્રકોપ વચ્ચે અર્થતંત્રને ટાઢક પમાડે તેવા સમાચાર મળી ગયા છે. દેશની જીવાદોરી સમાન દક્ષિણ નૈઋત્યના ચોમાસાએ કેરળકિનારે આગમન કરી લીધું છે. ચોમાસું નિર્ધારિત સમયે જ પહોંચી ગયું છે. ભારતીય મોસમ વિભાગે એટલે કે IMDએ દેશમાં ચોમાસા ના આગમનને અધિકૃત રીતે જાહેરાત કરી દીધી છે. કેરળના દરિયાકિનારે ઊઠતા મોજાણે હરખથી વર્ષારાણીના વધામણાં કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.. સાગર અને આકાશ વચ્ચે જાણે ઘણા મહિનાઓ બાદ એકરાગ થયો હોય તેવું લાગી રહ્યું છે.
આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે એટલે ખૂબ સારું રહેશે
હવામાન વિભાગનું કહેવું છે કે, દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે એટલે ખૂબ સારું રહેશે. કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનથી મંદીમાં સપડાયેલા દેશના અર્થતંત્ર માટે આ સમચાર ઉજળી આશા જન્માવી રહ્યા છે. કેમકે, દેશની 80કરોડ વસ્તી ગામડામાં વસવાટ કરે છે. જે સંપૂર્ણ રીતે કૃષિ પર નિર્ભર છે. ગામડામાં સારા ચોમાસાની આશામાં વાવણીએ ગતિ પકડી છે. વળી આપણા દેશમાં જીડીપીમાં કૃષિનો ફાળો 18 ટકા રહ્યો છે. ભારતમાં મોટાભાગની ખેતી સિંચાઈ માટે ચોમાસાના વરસાદ પર આધાર રાખે છે.
ગ્રામીણ ભારતની ખરીદશક્તિ વધશે
આથી ચોમાસું સામાન્ય રહેશે તો ગ્રામીણ ક્ષેત્રમાં આવક અને માંગમાં વધારો થશે. સારા ચોમાસાથી ખેડૂતોની આવકમાં વધારો થાય છે. જો ચોમાસુ સારુ રહે તો ગ્રામીણ ભારતની ખરીદશક્તિ વધે છે. ભારતીય અર્થતંત્ર માટે ચોમાસાનું કેટલું મહત્વ છે એ એ વાત પરથી સમજી શકાય છે કે, જે વર્ષે ચોમાસું સારુ નથી હોતું તે વર્ષે બાઈક અને ઓટો કંપનીઓનું વેચાણ ઘટી જાય છે.
આર્થિક મોરચે લડી રહેલા ભારત માટે સારા સમાચાર
આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. જે આર્થિક મોરચે લડી રહેલા ભારત માટે સારા સમાચાર છે. કેમકે સારા ચોમાસાથી માત્ર ગામડાઓને જ નહી, શહેરી વિસ્તારોને પણ લાભ થાય છે. કૃષિ ઉત્પાદનમા વધારો થતાં બજારમાં માંગ પણ વધે છે. ઉપજનો સારો ભાવ મળતા ખેડૂતોની આવક વધે છે. સારા ચોમાસાથી હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પર સકારાત્મક અસર પડે છે. સાથે દેશના જળાશયો પણ છલોછલ ભરાઈ જાય છે જેના કારણે પાણીનું સંકટ દૂર થાય છે.
હવામાન વિભાગે એપ્રિલમાં જ કહ્યું હતું કે, આ વર્ષે ચોમાસું સરેરાશ રહેવાનું છે.હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે ચોમાસું 96થી 100 ટકા વરસાદ વરસાવે તેવી પૂરી શક્યતા છે. જો કે હવામાન વિભાગ દ્વારા થતો આ વર્તારો તત્કાલિન ભેજ અને ગરમીને ધ્યાનમાં રાખીને કરાતો હોય છે. જેમાં થોડો ફેરફાર પણ સર્જાઈ શકે છે. ભૂતકાળમાં પણ હવામાન વિભાગ અને સ્કાયમેટ વિભાગે વરસાદનું અનુમાન કર્યું હતું. ધણો તફાવત જોવા મળ્યો છે.
ગતવર્ષની આગાહી
આપને જણાવી દઈએ કે, વર્ષ 2014માં હવામાન વિભાગે 96ટકા, સ્કાઈમેટ 94ટકા વરસાદનુ અનુમાન કર્યું હતું પરંતુ વાસ્તવિક વરસાદ 88 ટકા જ થયો હતો. વર્ષ 2015માં હવામાન વિભાગે 93ટકા, સ્કાઈમેટે 102ટકા વરસાદનુ અનુમાન કર્યું હતું પરંતુ વાસ્તવિક વરસાદ 86 ટકા જ થયો હતો.
વર્ષ 2016માં હવામાન વિભાગે 106ટકા, સ્કાઈમેટે 105ટકા વરસાદનુ અનુમાન કર્યું હતું પરંતુ વાસ્તવિક વરસાદ 97 ટકા જ થયો હતો. વર્ષ 2017માં હવામાન વિભાગે 98ટકા, સ્કાઈમેટે 95ટકા વરસાદનુ અનુમાન કર્યું હતું પરંતુ વાસ્તવિક વરસાદ 95 ટકા જ થયો હતો. વર્ષ 2018માં હવામાન વિભાગે 97ટકા, સ્કાઈમેટે 100ટકા વરસાદનુ અનુમાન કર્યું હતું પરંતુ વાસ્તવિક વરસાદ 91 ટકા જ થયો હતો. વર્ષ 2019માં હવામાન વિભાગે 96ટકા, સ્કાઈમેટે 93ટકા વરસાદનુ અનુમાન કર્યું હતું પરંતુ વાસ્તવિક વરસાદ 110 ટકા જ થયો હતો.
સારુ ચોમાસું ભારતીય અર્થતંત્ર માટે અતિ મહત્વનું છે
સારુ ચોમાસું ભારતીય અર્થતંત્ર માટે અતિ મહત્વનું છે. કેમ કે ભારતની અર્થવ્યવસ્થા પહેલાથી જ મંદી સામે ઝઝુમી રહી છે. ઉપરથી કોરોનાના કહેરે ભારત સહિત સમગ્ર વિશ્વની આર્થિક કમર તોડી નાખી છે. ત્યારે હવે ચોમાસાનો ધોધમાર વરસાદ દેશમાં મંદીના મારને દૂર કરશે તેવી એકમાત્ર આશા સેવાઈ રહી છે.