અમદાવાદમાં કાલુપુર માર્કેટમાં ભીડ એકઠી થવાને કારણે આજે બજાર જેવા ખુલ્યા એવા જ બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ મનપાએ કાલુપુર વેપારી મંડળ સાથે વાતચીત કરીને બજાર ખોલવાનો નિર્ણય લીધો છે પણ બજાર ખોલવા માટે નવી ફોર્મ્યુલા બનાવવામાં આવી છે.
અમદાવાદ મનપા,પોલીસ અને બજારના પ્રમુખો સાથે થઇ બેઠક
પ્રમુખોને દુકાનોનું લિસ્ટ આપવા અપાઇ સૂચના
શું છે નવી ફોર્મ્યુલા?
અમદાવાદના કાલુપુરમાં આવતીકાલે સેમી હોલસેલ માર્કેટ રહેશે ચાલુ. મનપા,પોલીસ અને બજારના પ્રમુખો સાથે બેઠક થઈ હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રમુખને દુકાનોનું લિસ્ટ આપવા સૂચના અપાઇ છે. સેમી હોલસેલની 150 દુકાનો કાલુપુર ચોખા બજારમાં. દરરોજ 50 દુકાનો જ ચાલુ રહેશે. એક દુકાન ચાલુ રાખી બાજુની બે દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભીડ ઓછી થાય તે માટે આ નિર્ણય કરાયો છે.
લોકડાઉન બાદ આજે કેટલીક શરતો સાથે શરૂ થયેલું કાલુપુર બજાર એક કલાકમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમે બંદ કરાવી દીધુ છે. સોશિયલ ડીસટન્સનું પાલન નહી થતા તેમજ ગ્રાહકોની ભારે ભીડ થતા આ નિર્ણય તાત્કાલીક લેવાયો છે જેના કારણે વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. કોર્પોરેશન તેમજ પોલીસે કેટલીક શરતોને આધિન દુકાનો અને બજાર ચાલુ કરવાની પરમિશન આપી હતી. વેપારીઓએ તમામ ગાઈડલાઈનનું પાલન કર્યું હતું પરંતુ પોલીસ અને કોર્પોરેશનની ટીમ આજે સવારે આવી બધું બંધ કરાવી દીધુ હતું. બજાર બંધ કરાતાની સાથેજ મોટી સંખ્યામાં પોલીસને ખડકી દેવામાં આવી છે.
અમદાવાદમાં કોરોના વાઇરસના કેસો કોટ વિસ્તારમાં વધતાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યો છે. આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા કાલુપુર ચોખા બજાર, અનાજ માર્કેટ, પાન મસાલા માર્કેટ અને માધુપુરા માર્કેટ લાંબા સમયથી બંધ હતા. કોર્પોરેશન દ્રારા દુકાનો અનો ગોડાઉન ખોલવા માટે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી મંજૂરી આપી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને ગાઈડલાઈનના પાલન કરવા વેપારીઓને જણાવવામાં આવ્યું હતુ. આજે સવારે બજારની તમામ દુકાનો ખોલી હતી જોકે એક કલાક પછી તંત્રએ તેને બંધ કરાવી દેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
ચોખા બજારના વેપારીઓએ માર્કેટ ચાલુ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જો વધુ સમય દુકાનો બંધ રહેશે તો અનાજ અને માલ સડી જશે જેથી દુકાન ખોલવા પરમિશન આપવામાં આવે. જેથી આજથી પાંચ કલાક દુકાન અને ગોડાઉનો ખોલવા મંજૂરી અપાઈ છે.બજારમાં મોટી સંખ્યામાં લોકો વસ્તુઓ લેવા ઉમટી પડયા હતા. રિટેલ વેપારીઓને માલ ખૂટી ગયો હતો જેથી મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ આજથી દુકાનો અને બજાર ખુલતા વેપારીઓ વસ્તુઓ લેવા ઉમટી પડ્યા હતા. પાન- મસાલા- ગુટખા, અનાજ ,ચોખા, મસાલા માર્કેટમાં લોકોની ભીડ ઉમટી છે.