ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાયા વગર જ વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં બઢતી આપી દેવાશે તેવા સોશિયલ મીડિયા પર ફરતા થયેલા મેસેજને પગલે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં કોઈપણ પ્રકારનો ગૂંચવાડો ઊભો ન થાય તે માટે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યો છે.
પરીક્ષા અંગે સોશિયલ મીડિયા પર વહેતા થયેલા મેસેજનું શું છે સત્ય
પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી
શિક્ષણ વિભાગના અધિકારીઓ દોડતા થયા
આવા મેસેજના પગલે શિક્ષણ વિભાગના અધિકારીઓ દોડતા થયા છે. જોકે શિક્ષણ વિભાગે આ સમગ્ર સમાચારને ખોટા ગણાવ્યા છે અને વાલીઓને આવા ખોટા મેસેજ પર ધ્યાન નહિ આપવા જણાવ્યું છે.
29 માર્ચ સુધી શાળા-કોલેજ બંધ રાખવાનો લેવાયો નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે દુનિયા ભરમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્ય ભરમાં કોરોના વાઈરસના ખતરા સામે સાવચેતી રાખવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
જેથી કોરોના વાઈરસને ફેલાતો અટકાવી શકાય, પરંતુ શિક્ષણ વિભાગના તકેદારીરૂપે લેવાયેલાં આ પગલાં બાદ સોશિયલ મીડિયા પર કેટલાંક તત્વો દ્વારા એક મેસેજ ફરતો કરવામાં આવ્યો છે કે આ વખતે ધોરણ 1થી 7ના ધોરણમાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા લેવાશે નહીં.
પ્રાથમિકમાં વાર્ષિક પરીક્ષા લેવાશે નહીં તેવા મેસેજ થયા વાયરલ
આ સાથે જ જે તે વિદ્યાર્થીઓને તેઓની વર્ષ દરમિયાન લેવાયેલી પ્રથમ અને દ્વિતીય કસોટીના મૂલ્યાંકનના આધારે આગલા વર્ષમાં બઢતી આપવામાં આવશે. જોકે શહેરની કેટલીક ખાનગી શાળાઓએ પ્રાથમિકમાં વાર્ષિક પરીક્ષા લેવાશે નહીં તેવા મેસેજ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.