અમદાવાદમાં કોરોનાના વધુ 61 કેસ નોંધાયા છે. ત્યારે શહેરમાં કોરોના કેસનો કુલ આંકડો 1420 પર પહોંચી ગયો છે. જો કે આ મામલે વિજય નેહરાએ જણાવ્યું કે છેલ્લા 12 કલાકમાં 4 લોકોના મોત નિપજ્યા છે. અત્યાર સુધી શહેરમાં 56 લોકોના મોત નિપજ્યા છે.
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાનું મોટુ નિવેદન
અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો
હોટસ્પોટ વિસ્તારોમાં કોરોનાના કેસ કંટ્રોલમાં આવી રહ્યા છે
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ વધુ માહિતી આપતા કહ્યું કે હવે શહેરમાં ડિસ્ચાર્જમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 21 લોકો ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં શહેરમાં 72 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.
આ સાથે જ રાહતના સમાચાર એ છે કે હવે અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પણ લોકોએ ગેલમાં આવી જવાનું નથી. વિજય નેહરાએ કહ્યું કે લોકો લોકડાઉનનું કડકરૂપે પાલન કરે. આગામી 3 મે સુધી ઘરમાં રહીને કોરોના સામેની જંગમાં મદદ કરે.
વિજય નેહરાએ કહ્યું કે હોટસ્પોટ વિસ્તારમાં કોરોનાને નિયંત્રણમાં લાવ્યા છીએ. પણ લોકો લોકડાઉનનું પાલન નહીં કરે તો આ મહેનત પાણીમાં જતી રહેશે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે સામેથી લોકો આવીને રિપોર્ટ કરાવતા હોય તેવા 2195 ટેસ્ટ થયા છે.
જ્યારે સામેથી કેસ શોધ્યા હોય તેવા 13 હજાર 725 ટેસ્ટ થયા છે. જેમાંથી 1064 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં શહેરમાં 16 હજાર જેટલા ટેસ્ટ કરી દેવામાં આવ્યા છે. જે જાપાન કરતા પણ 5 ગણા છે.
ક્વોરન્ટાઈનમાં લોકોની સંખ્યા 6330 જેટલી થઈ ગઈ છે. વધુમાં નેહરાએ કહ્યું કે હવે સુપર સ્પ્રેડર્સને ટાર્ગેટ કરીને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સુપ્ર સ્પ્રેડર્સ એટલે કે, શાકભાજી, કિરાણા સ્ટોર, ડેરી, પેટ્રોલપંપ, ફ્રૂટ વેચનાર કે અન્ય કોઈ જે દરરોજ હજારો લોકોના સંપર્કમાં આવતા હોય તેવા લોકોનું સ્ક્રીનિંગ બાદ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. બે દિવસમાં આવા સુપર સ્પ્રેડર્સમાંથી 7ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી હજારો લોકોને ચેપ લાગતો અટકાવી શક્યા છીએ. જ્યારે SVPમાં 1 હજાર બેડ તૈયાર થઈ ગયા છે.